ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના પગલે મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે.તેના કારણે ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ છે. જેમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે. 9 જળાશયો જે 100 ટકા ભરાઇ ગયા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના શેત્રુંજી, રોજકી-બગડ, બોટાદના ભીમાદ, સુરેન્દ્રનગરના વાંસલ-લિમ ભોગાવો-સબુરી-ધોળી ધજાનો સમાવેશ થાય છે.
ગુરૂવારે વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ-મહીસાગર-ભરૂચ-સુરત-તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગુરૂવારે ગુજરાતના 96 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 35 તાલુકામાં વરસાદ 1 ઈંચથી વધુ હતો. ગુરુવારે વલસાડના પારડી-કપરાડા-ધરમપુર-ઉમરગામ, નવસારીના ખેરગામ, ભરૂચનાં હાંસોટ, સુરતના ઓલપાડ, ડાંગના વઘઈનો સમાવેશ થાય છે. 19મી જૂને વલસાડના વાપીમાં 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 20 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
NDRF, SDRFની કુલ 33 ટીમ તહેનાત
ભારે વરસાદને પગલે એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે ભાવનગરમાંથી 89, અમરેલીમાંથી 69, બોટાદમાંથી 24, ગાંધીનગરમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બીજી તરફ ભાવનગરથી 729, સુરેન્દ્રનગરથી 117, બોટાદથી 117 અને અમરેલીથી 80ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 19મી જૂનના બપોરની સ્થિતિએ સુરેન્દ્રનગરના 3, આણંદના 1 એમ ચાર સ્ટેટ હાઈવે, જ્યારે ભાવનગરના 1 નેશનલ હાઇવે સહિત 196 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેમાં ભાવનગરના સૌથી વધુ 60, વલસાડના 49 રસ્તાઓ બંધ છે.