મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ગઈકાલે ગુરૂવારે પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં શરૂ કરેલા ઓપરેશન સિંદૂર પર સવાલો ઉઠાવનારાઓને ગદ્દાર કહ્યા છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા હતા. તેમજ શિંદેએ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વનો ત્યાગ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. એકનાથ શિંદેએ વર્લીમાં NSCI ડોમમાં પાર્ટીના સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, અમને ઓપરેશન સિંદૂર પર ગર્વ છે. લોકો આપણી સેના પર શંકા કરે છે. તેમને આપણી સેના પર વિશ્વાસ નથી. પાકિસ્તાનના સેના પ્રમુખ પર વિશ્વાસ છે. આપણા સૈનિકોની શૂરવીરતાને સલામ કરવાના બદલે તેઓ આપણા હથિયારોને થયેલા નુકસાન વિશે સવાલો કરી રહ્યા છે. આ પ્રકારના સવાલો ઉઠાવવા દેશદ્રોહ સમાન છે. રાહુલ ગાંધી અને તેમના પક્ષના લોકો પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.