જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ હુમલાને અંજામ આપનારા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. આ ખુલાસો બે કાશ્મીરી નાગરિકો પરવેઝ અહેમદ ઝોથર અને બશીર અહેમદ ઝોથરની ધરપકડ બાદ થયો છે. બંને પર આરોપ છે કે તેમણે હુમલાખોરોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર 20 એપ્રિલની રાત્રે ત્રણેય આતંકવાદીઓ આ બંને વ્યક્તિઓના ઘરે પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ જમવાનું માંગ્યું હતું તેમજ પૈસા આપ્યા હતા અને કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે જે ત્રણ શંકાસ્પદો એટલે હાશિમ મૂસા, અલી ભાઈ ઉર્ફે તલ્હા અને આદિલ હુસેન ઠોકરના સ્કેચ જાહેર કર્યા હતા તે ખોટા સાબિત થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે અસલી હુમલાખોરોમાંનો એક સુલેમાન શાહ છે, જે ગયા વર્ષે એક સુરંગ પર થયેલા આતંકી હુમલાનો પણ આરોપી છે. આ હુમલામાં સાત મજૂરોના મોત થયા હતા. તેનો એક સહયોગી માર્યો ગયો છે. તેના ફોનમાંથી મળેલી તસવીરોનો NIA એ શંકાસ્પદોની ઓળખ માટે ઉપયોગ કર્યો.