ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ
એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાય છે તો આ પુરવઠામાં અવરોધ સર્જાઈ
શકે છે. તેના લીધે સૌથી વધુ ઝાટકો રાજકીય રીતે સંવેદનશીલ કહી શકાય તેવા ગેસ સિલિન્ડર
ધારકોના ઘરોને જ લાગશે. દેશમાં ૩૩ કરોડ ગેસ સિલિન્ડર જોડાણ છે.
આ ૩૩ કરોડ એલપીજી જોડાણની સામે પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) જોડાણની સંખ્યા ૧.૫ કરોડ છે.
આ સંખ્યા વધી રહી છે, પણ તેને એલપીજી જોડાણના સ્તરે પહોંચવામાં ખાસ્સો સમય લાગી શકે તેમ
છે. કમસેકમ બે દાયકા તેને લાગે તેમ માનવામાં આવે છે. પેટ્રોલિયમ પ્રધાન હરદીપપુરીએ ખાતરી
આપી છે કે વિશ્વના ત્રીજા નંબરના તેલ આયાતકાર દેશ અને ચોથા સૌથી મોટા ગેસ ખરીદદાર ભારત
આગામી કેટલાય અઠવાડિયાઓ સુધી તેની ઉર્જા જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે.