ઈરાન ઈઝરાયલ વચ્ચે તેર દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાના દખલથી યુદ્ધ વકર્યું હતું. જેના
જવાબી હુમલામાં ઈરાને કતારના અમેરિકન બેઝ પર હુમલો કર્યો હતો. જે બાદ કતારે તેની એર સ્પેસ
બંધ કરી હતી. જ્યારે હવે યુદ્ધને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દેશોએ યુદ્ધવિરામ પર
સહમતી દર્શાવી છે. આ સાથે કતારે તેનું હવાઈ ક્ષેત્ર ફરી ખોલ્યું છે, જે સોમવારે ઈરાનના મિસાઈલ
હુમલા બાદ બંધ કરાયું હતું. આ ઘટનાએ ભારત સહિત વિશ્વભરની હવાઈ સેવાઓને અસર કરી હતી.
સોમવારે ઈરાને કતારની રાજધાની દોહામાં આવેલા અલ-ઉદીદ એરબેઝ પર મિસાઈલ હુમલો કર્યો હતો,
જે અમેરિકાનું મધ્ય પૂર્વમાં સૌથી મોટું સૈન્ય એર બેઝ છે. આ હુમલાને અમેરિકાના રવિવારે ઈરાનના
પરમાણુ ઠેકાણાઓ પર કરેલા હવાઈ હુમલાનો જવાબ માનવામાં આવે છે. કતારની વાયુસેનાએ
મોટાભાગની મિસાઈલોને અટકાવી હતી, પરંતુ હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ભારત, દુબઈ, બહેરીન, કુવૈત
જેવા દેશોની ફ્લાઈટ્સ પર અસર પડી. ઈન્ડિગોએ દુબઈ, દોહા, જેદ્દા, મસ્કત સહિતના રૂટ્સ પર
ફ્લાઈટ્સ સ્થગિત કરી છે.કતારમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને ઘરની અંદર
રહેવા અને સ્થાનિક સત્તામંડળની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. દૂતાવાસ સોશિયલ મીડિયા દ્વારા
સતત માહિતી આપી રહ્યું છે. આ ઘટનાએ મધ્ય પૂર્વમાં હવાઈ યાતાયાતને ખોરવી નાખ્યું છે, જેની
અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે.