જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 3 જુલાઇથી પવિત્ર
અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ યાત્રાની સુરક્ષાના પગલે રવિવારે ભારતીય સેના,
સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના
જવાનોએ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમરોલી, તોલાડી નાલા ખાતે સંયુક્ત મોક લેન્ડ સ્લાઈડ
ડ્રીલ હાથ ધરી હતી. ઉધમપુરના ડીએસપી પ્રહલાદ કુમારે જણાવ્યું છે કે આ મોક ડ્રીલનો હેતુ વિવિધ
દળો વચ્ચે સંકલન તપાસવાનો અને સુરક્ષા દળોના પ્રતિભાવનું મૂલ્યાંકન કરવાનો હતો. આ મોક ડ્રીલ
સફળ રહી છે.
જેમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે યાત્રાળુઓ માટે બેઝ કેમ્પ ‘યાત્રી નિવાસ’
ખાતે ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. સંપૂર્ણ સુરક્ષા સાથે બસો મોકલવામાં આવી છે. અમરનાથ
યાત્રાળુઓનો પહેલી ટુકડી 2 જુલાઈના રોજ બેઝ કેમ્પથી મોકલવામાં આવશે. અમરનાથ યાત્રા 3
જુલાઈના રોજ બાલતાલ અને પહેલગામ રૂટથી શરૂ થશે.
જમ્મુના ડેપ્યુટી કમિશનરે માહિતી આપી છે કે યાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે
જણાવ્યું છે કે સરસ્વતી ધામ ખાતે ટોકનનું વિતરણ કરવામાં આવશે. તેમણે લોકોને મોટી સંખ્યામાં
આવવા અપીલ કરી છે.અમે તેમને બધી જરૂરી સુવિધાઓ પૂરી પાડીશું અને કોઈને પણ કોઈ મુશ્કેલીનો
સામનો કરવો પડશે નહીં. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને યાત્રા 9 ઓગસ્ટના રોજ સમાપ્ત
થશે. પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે અમરનાથ યાત્રા
માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે યાત્રા દરમિયાન સીએપીએફની કુલ 581
કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આમાં લગભગ 42,000 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થશે.
આમાં CRPF,BSF,CISF,ITBPઅને SSBના જવાનોનો સમાવેશ થાય છે.