વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવા માટે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે અગાઉ જાહેર કરાયેલા 25 ટકા ટેરિફ
પછી ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, જેના પછી કુલ ટેરિફ બમણો થઈને 50 ટકા થઈ
ગયો હતો. લેવિટે કહ્યું હતું કે પ્રતિબંધોનો હેતુ રશિયા પર વધારાનું દબાણ લાવવાનો હતો. લેવિટે ફરી
એકવાર એવો પણ દાવો કર્યો હતો કે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સંઘર્ષનો અંત લાવ્યા છે.
તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ આ યુદ્ધનો અંત લાવવા માટે ભારે દબાણ કર્યું છે. લેવિટે કહ્યું, જેમ તમે
જોયું છે, ભારત પર પ્રતિબંધો અને અન્ય પગલાં લેવામાં આવ્યા છે. તેમણે પોતે સ્પષ્ટ કરી દીધું છે કે
તેઓ આ યુદ્ધનો અંત જોવા માંગે છે.” લેવિટે ફરી એકવાર દાવો કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત
અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષનો અંત લાવ્યા હતા. લેવિટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ
અમારા સાથીઓ, અમારા મિત્રો અને વિશ્વભરના અમારા વિરોધીઓ પાસેથી આદર માંગવા માટે
અમેરિકન શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે.” તેમણે કહ્યું હતું કે આ ફક્ત રશિયા અને યુક્રેન સાથેની
પ્રગતિમાં જ નહીં પરંતુ “વિશ્વભરના સાત વૈશ્વિક સંઘર્ષોના અંતમાં” પણ જોવા મળ્યું. લેવિટે કહ્યું કે ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળ્યા હતા. ઝેલેન્સકીએ યુક્રેનમાં યુદ્ધનો અંત
લાવવા માટે પુતિન સાથે ત્રિપક્ષીય બેઠકની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમનો દિવસ અત્યંત
સફળ રહ્યો. જ્યારે ઝેલેન્સકીએ કહ્યું કે આ તેમની અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની શ્રેષ્ઠ વાતચીત હતી.
લેવિટે વધુમાં કહ્યું કે હું તમને ખાતરી આપી શકું છું કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર અને ટ્રમ્પ વહીવટીતંત્ર
આ દ્વિપક્ષીય વાતચીતને શક્ય બનાવવા માટે રશિયા અને યુક્રેન બંને સાથે નજીકથી કામ કરી રહ્યું છે.
લેવિટે કહ્યું કે શાંતિ સ્થાપિત કરવાના ટ્રમ્પના અથાક પ્રયાસોને કારણે જ યુરોપિયન નેતાઓ પુતિન
સાથેની મુલાકાતના 48 કલાકની અંદર શાંતિ સ્થાપિત કરવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું કે અમેરિકન
ધરતી પર રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કર્યાના 48 કલાક પછી વ્હાઇટ હાઉસ ખાતે આ યુરોપિયન
નેતાઓને મળ્યા હતા.