પાકિસ્તાનમાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ અને હુમલાઓની ઘટનાઓ બનતી હોય છે. એવામાં હવે
ક્વેટામાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટી (BNP)ની રેલીને નિશાન બનાવીને પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો
હતો. જેમાં 14 લોકોના મોતના અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે.
આ ઘટના શાહવાની સ્ટેડિયમ નજીક સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિના દિવસે આયોજિત
કાર્યક્રમના સમાપન બાદ બની હતી. બલૂચિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી બખ્ત મોહમ્મદ કાકરે મોટી જાનહાનિ
થયાની પણ માહિતી આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ હુમલો બીએનપી નેતા અખ્તર
મેંગલ અને તેમના કાફલાને ટાર્ગેટ કરીને કરાયો હતો. પરંતુ તેમને કોઈ નુકસાન થયું નહોતું.
આ ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં
સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ
દરમિયાન, BNP પ્રવક્તા સાજિદ તરીને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં પાર્ટીના 13 લોકોએ જીવ ગુમાવ્યા
છે. આ બોમ્બ વિસ્ફોટ અખ્તર મેંગલની કાર નીકળી ગયાના થોડા સમય પછી થયો હતો.