અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ નાંખતા બંને દેશોના સંબંધો વણસ્યા છે. ટ્રમ્પના
આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને મોટો ફટકો પડયો છે. આવી સ્થિતિમાં હવે ટ્રમ્પે અમેરિકામાં દવાઓ
પર 200 ટકા અથવા વધુ ટેરિફ નાંખી ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને ફટકો આપવાની યોજના બનાવી
છે. બીજીબાજુ ટ્રમ્પ સાથે ટેરિફ વિવાદ વચ્ચે પણ ભારતને અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારની આશા
છે અને તે માટે ભારત અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યું છે તેમ વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે
મંગળવારે કહ્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન ઉત્પાદક એપલ સહિતની ટેક્નોલોજી કંપનીઓને ભારતના
બદલે અમેરિકામાં રોકાણ કરવા માટે દબાણ કર્યું છે. હવે ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી દવાઓ પર 200
ટકા જેટલો જંગી ટેરિફ નાંખવાની યોજના બનાવી છે. જોકે, સૂત્રો મુજબ ટ્રમ્પ સીધા જ નહીં પરંતુ
તબક્કાવાર ટેરિફ નાંખે તેવી શક્યતા છે. આ નિર્ણય પાછળ ટ્રમ્પનો આશય દવાઓનું ઉત્પાદન
વિદેશોમાંથી અમેરિકા પાછું લાવવાનો છે. ટ્રમ્પ દવા કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન માટે એકથી દોઢ
વર્ષ સુધીનો સમય આપે તેવી પણ શક્યતા છે.જોકે, દવાઓ પર જંગી ટેરિફના ટ્રમ્પના સંભવિત
નિર્ણયથી દુનિયામાં જેનેરિક દવાઓના મહત્વપૂર્ણ નિકાસકાર ભારતને મોટું નુકસાન થવાની આશંકા છે.
અન્ય ભારતીય નિકાસકારોની જેમ ભારતીય દવા ઉત્પાદકો પર અસર થઈ શકે છે. જોકે, કેટલાક
રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પની નજર ભારતની સાથે ચીનમાંથી આયાત થતી દવાઓ અને તેના કાચા માલ
(એપીઆઈ) પર પણ છે. કેટલાક સૂત્રો મુજબ ટ્રમ્પ દવાઓ પર ટેરિફ નાંખીને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ
વધારવા માગે છે. ટ્રમ્પના દબાણ હેઠળ જ્હોન્સન એન્ડ જ્હોન્સન અને રોશ જેવી ફાર્મા કંપનીઓ તેમના
ઉત્પાદન એકમ અમેરિકામાં સ્થળાંતર કરવા પણ તૈયાર છે. આ કંપનીઓએ અમેરિકામાં રોકાણ
વધારવાની જાહેરાત પણ કરી દીધી છે.