પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક મોટા આત્મઘાતી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ સાથે જ ત્રણ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠન TTPના આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ઘૂસીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને આ હુમલાના પ્રયાસને સફળ થવા દીધો ન હતો અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ડેરા ઇસ્માઇલ ખાનના ડીપીઓના નેતૃત્વમાં પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં TTPના હુમલાઓ સતત વધતા જઈ રહ્યા છે. બીજી તરફ, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં આવેલી કડવાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.અન્ય એક ઘટનામાં શુક્રવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચનાબ નગરમાં અહમદી સમુદાયની બેત-ઉલ-મહદી મસ્જિદ પર જુમ્માની નમાઝ પછી આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં મસ્જિદના અનેક સ્વયંસેવકો ઘાયલ થયા હતા અને એક હુમલાખોર માર્યો ગયો હતો. આ ઘટના પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમ સમુદાય પર વધી રહેલા લક્ષિત હુમલાઓનું તાજેતરનું ઉદાહરણ છે.