પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા બે અલગ-અલગ આતંકી હુમલા મંગળવારે સામે આવ્યા છે. આ લોહિયાળ ઘટનાઓમાં સુરક્ષાકર્મીઓ સહિત કુલ 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. આતંકીઓએ પંજાબ પ્રાંત અને ખૈબર પખ્તુનખ્વાને નિશાન બનાવીને પાકિસ્તાની સરકાર અને સેનાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ હુમલાઓને કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં આવેલી દજ્જાલ ઇન્ટર-સ્ટેટ ચેક પોસ્ટ પર એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની સુરક્ષાકર્મીઓના મોત થયા છે. ઘટનાસ્થળેથી પ્રાપ્ત થયેલા વીડિયો ફૂટેજમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે આત્મઘાતી હુમલો હોવાની પુષ્ટિ કરે છે. આ હુમલા બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ તેજ કરવામાં આવી છે.
આ ચોંકાવનારા હુમલાની જવાબદારી ‘અંસાર-ઉલ-ઇસ્લામ’ નામના આતંકી સંગઠને સ્વીકારી છે. આ સંગઠને હુમલાખોરની ઓળખ અબુ દર્દા તરીકે આપી છે. સુરક્ષા નિષ્ણાતો માટે ચિંતાનો વિષય એ છે કે, અંસાર-ઉલ-ઇસ્લામે પ્રથમ વખત આ પ્રકારના મોટા હુમલાની જવાબદારી લીધી છે. ભૂતકાળમાં આ સંગઠન ખૈબર ક્ષેત્રમાં પીર સૈફુર રહેમાનની આગેવાની હેઠળ સક્રિય હોવાનું મનાતું હતું, પરંતુ આ ઘટનાએ તેની વધતી તાકાતનો સંકેત આપ્યો છે.
બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ વિસ્તારમાં આતંકીઓએ પોલીસ વાહનને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના જણાવ્યા અનુસાર, આ ઘાતકી હુમલામાં એક વરિષ્ઠ અધિકારી સહિત પાંચ પોલીસકર્મીઓ અને બે સામાન્ય નાગરિકોના મોત થયા છે. આતંકીઓએ ચાલુ વાહને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં પોલીસ જવાનોને સંભાળવાની તક પણ મળી નહોતી.
પાકિસ્તાનમાં સતત વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓએ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે આ હુમલાઓની આકરી નિંદા કરી છે અને સુરક્ષા દળોને હુમલાખોરોને શોધી કાઢવા આદેશ આપ્યો છે. હાલ પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ આતંકી હુમલાઓ ફરી એકવાર સાબિત કરે છે કે પાકિસ્તાનમાં આતંકવાદની સમસ્યા બેકાબૂ બની રહી છે.


