વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને રાજકીય અસ્થિરતાએ દુનિયાભરના દેશો માટે મોટું એનર્જી સંકટ ઊભું
કર્યું છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર કડક જાપ્તો લગાવી દેવામાં આવતા ઓઈલ અને ગેસ સપ્લાય
ખોરવાયો છે. આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ઓએનજીસીના ચેરમેન અરુણ કુમાર સિંહે જણાવ્યું કે,
40 વર્ષના અનુભવમાં તેમણે ક્યારેય આવું સંકટ જોયું નથી. અરુણ કુમાર સિંહે મહત્વના મુદ્દાઓ રજૂ
કર્યા હતા. અરૂણ કુમાર સિંહે કહ્યું કે, અમે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ એવો આવશે જ્યારે હોર્મુઝ
જેવો મહત્વનો રસ્તો બંધ થઈ જશે. આ સ્થિતિ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તેલ
સંકટ સમાન છે. દરેક દેશે પોતાની ઊર્જા સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટે કડક પગલાં લેવા પડશે.
આપણે માત્ર વર્તમાન જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી શકે તેવી ગંભીર સ્થિતિઓ માટે પણ તૈયાર રહેવું
પડશે. ભારતે તેની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં તેલ અને ગેસનો સંગ્રહ કરવો
અત્યંત જરૂરી છે.અરુણ કુમાર સિંહે એક સચોટ ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે
તૈયારી કરવા બેસવું જોઈએ નહીં, પરંતુ અગાઉથી સજ્જ રહેવું જોઈએ. આપણે ઊર્જાના સ્ત્રોત અને તેના
ભંડારમાં વિવિધતા લાવવી પડશે. કરકસરભર્યો ઉપયોગ તેલ, ગેસ અને કોલસાની દરેક બુંદનો ઉપયોગ
અત્યંત વિચારીને અને કરકસરપૂર્વક કરવો પડશે.
ભારતની વિદેશી દેશો પરની નિર્ભરતા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, LNG અને LPG
ના કિસ્સામાં ભારતની નિર્ભરતા 30% થી વધીને 60% સુધી પહોંચી છે, જે હાલની સ્થિતિમાં ઘણી મોંઘી
સાબિત થઈ રહી છે. વધારે પડતા આયાત પરના આધારને કારણે ભારતે આર્થિક નુકસાન વેઠવું પડી
રહ્યું છે. હોર્મુઝ પર ઈરાનનો પહેરો છે. નોંધનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના
યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં ઈરાને હોર્મુઝની ખાડી પર કડક નિયંત્રણો રાખ્યા છે.
કોઈપણ જહાજને પસાર થવા માટે ઈરાનની પરવાનગી લેવી ફરજિયાત છે. આગામી શનિવારે
ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થવાની છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે.


