અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સીઝફાયર આજે સમાપ્ત થવાનો હતો, જોકે સીઝફાયર સમાપ્ત
થાય તેના થોડા કલાક પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર લંબાવવાની જાહેરાત કરી
છે. ટ્રમ્પનો દાવો છે કે તેમણે પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ મુનીર તથા વડાપ્રધાન શરીફની વિનંતીના
કારણે સીઝફાયર લંબાવ્યું છે. મિડલ ઈસ્ટ એક મહિનાથી વધુ સમય સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. જે બાદ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સભ્યતા જ સમાપ્ત કરી દેવાની ધમકી આપી હતી, અને
ધમકીના બીજા જ દિવસે સીઝફાયરની જાહેરાત કરી હતી. જે બાદ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં
અમેરિકા અને ઈરાનના નેતાઓએ શાંતિ મંત્રણા યોજી. જોકે આ મંત્રણા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી
વારંવાર જીતનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની પણ
જાહેરાત કરી હતી. જેના કારણે ઈરાનના નેતાઓ રોષે ભરાયા હતા. ટ્રમ્પના નિવેદનો તથા નાકાબંધીના
વિરોધમાં ઈરાને શાંતિ મંત્રણામાં બીજી વાર ભાગ લેવાથી પણ ઈનકાર કરી દીધો છે. યુદ્ધવિરામ
વધારવા છતાં ટ્રમ્પે તેમની સેનાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી ચાલુ રાખવા અને કોઈ પણ સ્થિતિ માટે
તૈયાર રહેવા આદેશ આપ્યો છે.આ નિર્ણયથી ઇસ્લામાબાદમાં હવે અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણાના
નવા રાઉન્ડ માટે સમય મળી ગયો છે. જોકે, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાન મુલાકાત હાલ પૂરતી
ટાળવામાં આવી છે.
28 ફેબ્રુઆરીએ શરૂ થયેલું આ યુદ્ધ 6 અઠવાડિયા સુધી ચાલ્યું હતું અને 8 એપ્રિલે પ્રથમવાર સીઝફાયર
થયું હતું.



