વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના આહ્વાનને પગલે ભાવનગર જિલ્લાના ગોપનાથ સમુદ્ર કિનારે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈને દરિયા કિનારાની સફાઈ કરી હતી.
જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ બાંભણિયાએ જણાવ્યું કે, સમુદ્ર કિનારાની સ્વચ્છતા જાળવવાથી પર્યાવરણ અને સમુદ્રી જીવસૃષ્ટિને સુરક્ષા મળે છે, જે વિકસિત ભારતના નિર્માણ માટે અનિવાર્ય છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુન્નાભાઈ મકવાણાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
અભિયાનમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ મકવાણા, અતુલભાઈ ભાલીયા, રઘુભાઈ બાંભણિયા, પૂર્વ સરપંચ ગોરધનભાઈ, અલ્પેશભાઈ મોરી સહિત આસપાસના ગામોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંતે સૌએ પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




