નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પ્રીકર્સર કેમિકલ્સ (માદક દ્રવ્યો બનાવવા માટે વપરાતા પ્રારંભિક રસાયણો) અને અન્ય પદાર્થો કે જેનો ઉપયોગ માદક દ્રવ્યો, સાયકોટ્રોપિક પદાર્થો અને ઉભરી રહેલા સિન્થેટિક ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન માટે દુરુપયોગ થઈ શકે છે, તેને ડાયવર્ટ થતા રોકવા માટે કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ સાથે સક્રિયપણે ભાગીદારી કરવા આહવાન કર્યું છે.

અમદાવાદમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં, એનસીબીના ડાયરેક્ટર જનરલ શ્રી અનુરાગ ગર્ગ, IPS એ કેમિકલ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા બહાર પાડી હતી. આ એક માર્ગદર્શક માળખું છે જે જવાબદાર કેમિકલ મેનેજમેન્ટને પ્રોત્સાહિત કરવા, સપ્લાય-ચેનની અખંડિતતાને મજબૂત કરવા અને ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન માટે ડાયવર્ટ થઈ શકે તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી ઓળખ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે વિકસાવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સના વરિષ્ઠ અધિકારીઓ સહિત કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગ સંગઠનો અને અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 250 થી વધુ સહભાગીઓ હાજર હતા, જેમાં કેમેક્સિલના ચેરમેન ડૉ. સતીશ વામન વાઘ; ગુજરાત કેમિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જૈમિન આર. વસા; ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાના ચેરમેન ભાલચંદ્રસિંહ રાવરાણે; ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કેમિકલ કમિટીના ચેરમેન ચાણક્ય કોન્ટ્રાક્ટર; ફાર્મેક્સિલના પ્રતિનિધિ ડૉ. વિરંચી શાહ; અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ માનદ જનરલ સેક્રેટરી હરેશ ગોપાલભાઈ પટેલ તેમજ અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ ઉપસ્થિત હતી.
કોન્ફરન્સ દરમિયાન, એનસીબી અને સીબીએનના અધિકારીઓએ ઝડપથી બદલાતા સિન્થેટિક ડ્રગ્સના પરિદ્રશ્ય, સિન્થેટિક ડ્રગ્સના ગુપ્ત ઉત્પાદનમાં ઉભરી રહેલા પ્રવાહો અને ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટ્સ (માદક દ્રવ્યોની હેરાફેરી કરતા જૂથો) દ્વારા પ્રીકર્સર અને આવશ્યક રસાયણોના વધતા જતા દુરુપયોગ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. સહભાગીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા કે કેવી રીતે ગુનાહિત નેટવર્ક્સ નિયમનકારી નિયંત્રણોથી બચવા માટે સતત વૈકલ્પિક રસાયણો અને અવેજી પ્રીકર્સર પદાર્થોની શોધ કરે છે, જેથી ભારતની ડ્રગ વિરોધી વ્યૂહરચનામાં ઉદ્યોગ જગતની તકેદારી એક આવશ્યક ઘટક બને છે. સભાને સંબોધતા અનુરાગ ગર્ગે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે અમલીકરણ એજન્સીઓ જપ્તી અને તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે માત્ર અમલીકરણની કાર્યવાહી દ્વારા સિન્થેટિક ડ્રગ્સ સામેની લડાઈ જીતી શકાતી નથી. તેમણે જણાવ્યું હતું કે રસાયણોનો વ્યવહાર કરતા ઉત્પાદકો, આયાતકારો, નિકાસકારો, વિતરકો, પરિવહનકારો અને વેપારીઓ શંકાસ્પદ ઓર્ડર, અસામાન્ય ખરીદીની પદ્ધતિઓ, અસાધારણ વપરાશના પ્રવાહો, અંતિમ ઉપયોગની માહિતી છુપાવવાના પ્રયાસો અને સંભવિત ડાયવર્ઝનના અન્ય સંકેતોને ઓળખવા માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
તેમણે ઉદ્યોગ જગતને વીસીસીમાં સમાવિષ્ટ માર્ગદર્શનને સ્વૈચ્છિક રીતે અપનાવવા અને આંતરિક અનુપાલન પ્રણાલીઓ, ગ્રાહક-ચકાસણી પ્રક્રિયાઓ, વ્યવહાર નિરીક્ષણ પદ્ધતિઓ અને રેકોર્ડ રાખવાની પદ્ધતિઓને મજબૂત કરવા વિનંતી કરી હતી. તેમણે ઉદ્યોગના હિસ્સેદારોને શંકાસ્પદ પૂછપરછ, અસામાન્ય વ્યવહારો, કાયદેસર વ્યવસાયિક સમર્થન વિના રસાયણો મેળવવાના પ્રયાસો અથવા ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન માટે ડાયવર્ઝન સૂચવતી કોઈપણ પ્રવૃત્તિ અંગે એનસીબી સાથે તાત્કાલિક માહિતી શેર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.ઉદ્યોગના પ્રતિનિધિઓએ આ પહેલને આવકારી હતી અને કેમિકલ મેનેજમેન્ટ, સપ્લાય-ચેન સુરક્ષા, ગ્રાહકની યોગ્ય તપાસ અને સ્વૈચ્છિક સ્વનિયમન સંબંધિત શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરી હતી.એક ઇન્ટરેક્ટિવ સત્ર પણ યોજવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ અને વેપાર સંગઠનોના પ્રતિનિધિઓએ અનુપાલનના પડકારો, નિયમનકારી મુદ્દાઓ અને ઉદ્યોગ તથા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહકારને ગાઢ બનાવવા માટેના વ્યવહારુ પગલાં અંગે ચર્ચા કરી હતી. સહભાગીઓએ પ્રીકર્સર કેમિકલ્સના ડાયવર્ઝનને રોકવામાં અને ભારતના પ્રીકર્સર-નિયંત્રણ માળખાને મજબૂત કરવા માટે એનસીબી અને સીબીએ…




