પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. નીતિગત સુધારાઓ, ડિજિટલ ગવર્નન્સ, વેપાર સુગમતા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધતા એકીકરણના પરિણામે ભારતે વૈશ્વિક વેપારમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. આ પરિવર્તનશીલ યાત્રામાં વિશેષ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ, રોકાણ આકર્ષણ અને નિકાસ વૃદ્ધિ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ગુજરાતના SEZ ક્ષેત્રની છેલ્લા 12 વર્ષની સિદ્ધિઓ, પ્રગતિ અને ભાવિ દ્રષ્ટિકોણને ઉજાગર કરવા માટે આયોજિત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ શ્રી અજય ભાદુ, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર બી. પાટીલ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર અને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિદેશ વેપાર મહાનિદેશાલય દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના વધતા વૈશ્વિક વ્યાપારિક વિસ્તરણને ઉજાગર કરતાં અધિક સચિવ અજય ભાદુએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજ અમેરિકી ડોલરથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી છે. આ વૃદ્ધિમાં એન્જિનિયરિંગ ઉત્પાદનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, રત્ન અને આભૂષણ તેમજ રસાયણ ક્ષેત્રનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગુજરાત આ વિકાસયાત્રામાં મુખ્ય યોગદાનકર્તા તરીકે ઉભર્યું છે, જેનો નિકાસમાં અંદાજે 110 અબજ અમેરિકી ડોલરનો ફાળો છે. ગુજરાતે વર્ષ 1965માં મુક્ત વેપારી ક્ષેત્રોની સ્થાપના કરીને એક ઐતિહાસિક પહેલ કરી હતી. તે સમયે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં પણ આવા દુરંદેશી ઔદ્યોગિક વિકાસના મોડેલ અંગે બહુ ઓછો વિચાર કરવામાં આવ્યો હતો. ગુજરાતે આ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી અને વૈશ્વિક રોકાણ તથા નિકાસ આધારિત વિકાસ માટે નવી દિશા પ્રસ્થાપિત કરી છે.
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેઇડ ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. દેશમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ્સ મોનિટરિંગ પોર્ટલ જેવા મહત્ત્વના ડિજિટલ પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્ડિયા બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશન પણ વૈશ્વિક સ્તરે ભારત માટે વિશ્વાસનું સીમાચિહ્ન હોવાનું ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની સક્રિય વેપાર કૂટનીતિના પરિણામે મોરીશિયસ, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઓસ્ટ્રેલિયા તથા યુનાઇટેડ કિંગડમ સાથે મહત્વપૂર્ણ મુક્ત વેપાર કરારો થયા છે, જ્યારે યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ સાથે પણ પ્રગતિ પર છે, જેના કારણે ભારતીય નિકાસકારો માટે નવી તકો ઊભી થઈ છે.ઝોનલ વિકાસ કમિશનર જ્ઞાનેશ્વર બી. પાટીલ એ જણાવ્યું હતું કે વિશેષ આર્થિક ક્ષેત્રો રોકાણ, રોજગાર, નવીનતા અને નિકાસના મુખ્ય પ્રેરક કેન્દ્રો તરીકે ઉભર્યા છે અને “મેક ઇન ઇન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” તથા “વિકસિત ભારત 2047”ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.આ કાર્યક્રમમાં ઝાયડસ સેઝ, આઇનોક્સ, કેએએસઇઝ અને માઇક્રોન સેઝના પ્રતિનિધિઓએ પોતાની ઔદ્યોગિક સાફ્લ્યગાથાઓમાં સરકારના સક્રિય સહયોગ અંગે વાતો કરી હતી.



