સિહોર નગરપાલિકાના જે.સી.બી. મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા વિપક્ષનેતા જયરાજસિંહ મોરી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
વિપક્ષનેતાએ જણાવ્યું હતું કે સિહોર નગરપાલિકા હસ્તકના બે જે.સી.બી. મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જ્યારથી આ નવી બોડી આવી છે ત્યારથી આ બંને જે.સી.બી. મશીન પાછળ લાખો રૂપિયા રીપેરીંગ ખર્ચ ઉધારાયો હોવા છતાં મોટાભાગનો સમય આ મશીનો બંધ હાલતમાં જ જોવા મળે છે. અગાઉ આ મશીનોના રિપેરીંગના બિલોના કૌભાંડ બાબતે સાધારણ સભામાં તેમ જ પ્રાદેશિક કમિશ્નરમાં વિપક્ષનેતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં હાલ ઘણા સમયથી આ મશીનો જાણીજોઈને બંધ રખાતા હોવાનો આક્ષેપ વિપક્ષનેતાએ કર્યો હતો.
હાલમાં મશીનો હોવા છતાં નગરપાલિકા એ ભાડાના મશીનોથી કામગીરી ચલાવવી પડે છે અને પૂરતી તપાસ કરવામાં આવે તો આ ભાડાના મશીનોમાં પણ મોટું કૌભાંડ બહાર આવે એમ છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાના આરે હોય માત્ર ભ્રષ્ટાચારના હેતુથી મશીનો બંધ રાખવામાં આવ્યા છે અને જેના લીધે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરતી થઈ શકી નથી. ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતીકે બને મશીનો તાત્કાલિક અસરથી રીપેર કરી પ્રિ મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવે અન્યથા ચોમાસામાં શહેરના લોકોને જે કાંઈ પણ અગવડતા પડશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. સાથે સાથે જે.સી.બી.ના રીપેરીંગ તેમ જ ભાડાના જે.સી.બી.ના કૌભાંડ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમ જ દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.




