કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની
ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન
યાદવે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બેઠકમાં કેન્દ્ર અને ચારેય રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ
ઉપસ્થિત રહ્યા હતા.
આ સમજૂતી મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો દ્વારા સરદાર સરોવર પરિયોજનાના
નિર્માણના ખર્ચ વહેંચણીના મુદ્દાઓ સાથે જોડાયેલા લાંબા સમયના વિવાદોનો અંત લાવવાની દિશામાં
એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે અંતર્ગત બાકી લેણાંના અંતિમ નિકાલ તરીકે કરવામાં આવનારી
ચૂકવણીઓને એકમુકત પતાવટ (વન-ટાઇમ સેટલમેન્ટ) ના રૂપમાં ઉકેલવામાં આવી છે.
ગૃહ મંત્રી અમિત શાહ ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે લાંબા
સમયથી નર્મદા એવોર્ડની બાકી ચૂકવણીનો વિવાદ ચાલી રહ્યો હતો, જેનો આજે સૌહાર્દપૂર્ણ ઉકેલ આવી
ગયો છે.
અમિત શાહ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જળ સુરક્ષાને મજબૂત કરવા અને જળ
ક્ષેત્રે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટે અનેક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું
કે પ્રધાનમંત્રી મોદી જીના નેતૃત્વમાં અનેક રાજ્યોમાં ડબલ એન્જિન સરકાર બનવાનો લાભ એ થયો છે
કે આપણામાં એકબીજાને સમજવાની ક્ષમતા વધી છે, રાજકીય મુદ્દાઓ ઓછા થયા છે અને દેશના અનેક
વિવાદો હવે ઝડપથી ઉકેલાઈ રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ મહત્વપૂર્ણ આંતર-રાજ્ય પરિયોજના પર સર્વસંમતિ સાધવામાં મધ્ય પ્રદેશ,
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારો દ્વારા આપવામાં આવેલા રચનાત્મક સહયોગની પ્રશંસા
કરી હતી. શ્રી શાહે કહ્યું કે આ પરિયોજનાથી વિશેષ કરીને મધ્ય પ્રદેશ, ગુજરાત તથા રાજસ્થાનને ઘણો
લાભ થયો છે. બંધ પૂર્ણ થવાથી આ રાજ્યોમાં દરેક જગ્યાએ પાણી અને વીજળી પહોંચ્યા છે. તેમણે કહ્યું
કે રાજસ્થાનને થયેલો લાભ જોવામાં નાનો લાગી શકે છે, પરંતુ જે જમીન સુધી નર્મદાના પાણી પહોંચ્યા
છે, ત્યાં જમીનનું મૂલ્ય અને ખેડૂતની કિસ્મત બંને બદલાઈ ગયા છે.
ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજીના નેતૃત્વમાં
દેશમાં ચાલી રહેલા જળ વિવાદ અથવા જળ વિતરણ સાથે જોડાયેલા વિવાદો એક પછી એક ઉકેલવામાં
આવી રહ્યા છે. વિતેલા દિવસોમાં હરિયાણા અને રાજસ્થાન વચ્ચેનો જળ વિવાદ ઉકેલાયો હતો. શ્રી શાહે
કહ્યું કે ભલે કિશાઉ બંધ પરિયોજનાનો મુદ્દો હોય કે રાજસ્થાન, હરિયાણા વચ્ચેનો જળ વિવાદ હોય કે
આજની આ સમજૂતી હોય, આ તમામ સહકારી સંઘવાદના સુવર્ણ ઉદાહરણો છે. તેમણે કહ્યું કે ભલે
ગુજરાત હોય, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા કે મહારાષ્ટ્ર, પાણી દેશના લોકો, ખાસ કરીને ખેડૂતોના
જ કામમાં આવે છે. શ્રી શાહે કહ્યું કે પાણીનો ઉપયોગ ભલે દેશના કોઈપણ ભાગમાં થાય, તેનાથી લાભ
મેળવનાર એક ભારતીય જ હશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ વિવાદથી થતા રાષ્ટ્રીય નુકસાન (National Loss) ને
ધ્યાનમાં રાખીને તેને ઉકેલવાની દિશામાં જરૂરી કદમ ઉઠાવવા જોઈએ. તેમણે કહ્યું કે જો પડોશી રાજ્ય
સમૃદ્ધ થાય છે, તો તેનો લાભ પોતાના રાજ્યને પણ મળે છે.






