ભાવનગર શહેરમાં અશાંતધારાની કડક અમલવારીના ભાગરૂપે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં કાયદાના ભંગ બદલ મળેલી રજૂઆતોના આધારે પોલીસે વધુ બે ગુના દાખલ કરી કુલ છ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કડક વલણ અને કાયદાકીય પ્રક્રિયાના કારણે અશાંતધારાનો ભંગ કરીને લેવાયેલી મિલકતો ગેરકાયદેસર ખરીદદારો અને ભાડુઆતો દ્વારા ખાલી કરી નાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ ભાવનગર જિલ્લામાં આ કાયદા હેઠળ રાજ્યનો બીજો અને જિલ્લાનો પ્રથમ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

એલસીબી દ્વારા કાળાનાળા વિસ્તારમાં આવેલ કાર્લટન સ્કવેર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર-૬, તેમજ ક્રેસન્ટ સર્કલથી ડોન ચોક જતા રોડ પર એચ.ડી.એફ.સી. બેન્કની સામે આવેલ અર્થ કોમ્પ્લેક્સની શોપ નં. ૧૦ અને મહાલક્ષ્મી સ્કૂલ વાળા ખાંચામાં આવેલી ઓફિસની ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, મિલકત માલિકોએ સરકારના નિયમોનુસાર વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ રૂ. ૧૦૦૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝડ ભાડા કરાર કરી મિલકતનો પ્રત્યક્ષ કબજો ભાડુઆતોને સોંપી દીધો હતો.
આ કિસ્સામાં સીટી મામલતદારની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ભરતનગરના મિલકત માલિક હરેશ મેપાભાઇ ચાવડા, ચિત્રાના જાલાભાઇ વિભાભાઇ ડાભલા અને કાળાનાળાના ભાડુઆત મોહસીનભાઇ કાસમભાઇ પરમાર વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. આ મામલે એલસીબીના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.સી.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે, જેમાં તપાસ દરમિયાન અન્ય એક ભાડુઆત અમીન રજાકભાઇ મહેતરનું નામ પણ ખુલવા પામ્યું છે.
જ્યારે બીજા કિસ્સામાં, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અશાંતધારા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઇસ્કોન મેગાસીટીના મિલકત માલિક ભરતકુમાર જયંતિલાલ કોઠારી અને હાદાનગરની ભાડુઆત દિલસાદબેન યુનુસભાઇ શાહ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરી ચલાવી રહ્યા છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમના અસરકારક અમલના ભાગરૂપે અત્યાર સુધીમાં ઐતિહાસિક કુલ ૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
આ સફળ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એ.વાઢેર, વી.સી.જાડેજા, પી.ડી.ઝાલા, પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરી તથા સ્ટાફના બલરાજસિંહ સરવૈયા અને હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.





