રોકાણકારોને માસિક ૨૦ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લોભામણી સ્કીમો બતાવી કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત કરવાના ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અન્ય એક સહ-આરોપી યોગેશ વેલજીભાઇ ધામેચાની પોલીસે ધરપકડ કરી છે. એલસીબીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગામી ૧૩ જુલાઈ ૨૦૨૬ સુધીના, એટલે કે દિન-૫ ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી યોગેશ ધામેચાના ઘરે સર્ચ અને સીઝરની કાર્યવાહી દરમિયાન ગુનાને લગતા બે ચોપડા અને બે મોબાઈલ ફોન સહિતના મહત્વના દસ્તાવેજો તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. આ ચકચારી કેસમાં શરૂઆતમાં ફરિયાદી સહિત કુલ ૭ સાહેદો દ્વારા રૂ. ૧,૦૩,૧૪,૫૦૦/- ઓળવી ગયા અંગેની ફરિયાદ વરતેજ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત થાપણદારોના હિતોનું રક્ષણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ નોંધાઈ હતી.
વધુ 8 રોકાણકારોએ પોતાના 25.90 લાખ ઓળવી ગયાના નિવેદન નોંધાવ્યા
પોલીસ દ્વારા મીડિયાના માધ્યમથી કરાયેલી અપીલના પગલે, માત્ર બે દિવસની તપાસમાં જ અન્ય વધુ ૮ રોકાણકારોએ તપાસ અધિકારીનો સંપર્ક કર્યો હતો. આ રોકાણકારોના પણ રૂ. ૨૫,૯૦,૦૦૦/- ઓળવી ગયા અંગેના નિવેદનો અને દસ્તાવેજો કબજે લેવાયા છે. આમ, આજદિન સુધીની તપાસમાં આરોપી સંજય મુળજીભાઈ ધામેચા અને યોગેશ ધામેચાએ કુલ રૂ. ૧,૨૯,૦4,૫૦૦/- ની રકમ પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો અન્ય કોઈ રોકાણકારો ભોગ બન્યા હોય તો તેઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે તાત્કાલિક એલસીબી કચેરીનો સંપર્ક કરવો.




