આગામી સમયમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પવિત્ર તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને બોટાદ એસ.પી. ધર્મેન્દ્ર શર્માની સૂચનાથીપોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા કડક સૂચનાઓ અપાઈ હતી.
આ સૂચનાઓ અંતર્ગત ડીવાયએસપી મહર્ષિ રાવલ અને ગઢડા પી.આઈ. કે.એન. ચોપરાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સામાકાંઠે સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ ઈસમો ચોરી કે છળકપટથી મેળવેલ એક મોટરસાઈકલ અને ૪ મોબાઈલ ફોન સાથે ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ નવીનભાઈ શામજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૪, રહે. હંસોલ, અમદાવાદ) અને સંજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.વ.૨૭, રહે. જૂના વાડજ, અમદાવાદ) તરીકે થઈ છે. હાલ ગઢડા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





