ભાવનગરઃ
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરતા મોટી સફળતા હાંસલ કરી છે. ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા-ફરતા આરોપી સહિત બે ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૯,૪૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ગત રોજ ભાવનગર ન્ઝ્રમ્ સ્ટાફ ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચોગઠ ગામના ઢાળ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ ચતુર ઉર્ફે ખેખરૂ અને અરુણ શંકાસ્પદ હાલતમાં એક વાદળી કલરની કીટ સાથે ઉભા છે.જે બાતમીના આધારે પોલીસે તુરંત બાતમીવાળી જગ્યાએ જઈને બંનેને કોર્ડન કરી ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સોના નામ પુછતા ચતુરભાઈ ઉર્ફે ખેખરૂ ગભરૂભાઈ ડાભી ઉ.વ.૫૨, મૂળ રહે. બગસરા, જિ.અમરેલી તથા અરુણભાઈ ઉર્ફે દીપુભાઈ ચુડાસમા ઉ.વ.૩૨, મૂળ રહે. સિહોર, જિ.ભાવનગર, હાલ રહે. દિલ્હી હોવાનું જણાવેલ પોલીસે તેમની પાસે રહેલી કીટની તલાશી લેતા અંદરથી કોઈપણ આધાર કે બિલ વગરના સોના-ચાંદીના દાગીના (કિ.રૂ. ૮,૬૮,૫૦૦/-), રોકડા રૂ. ૫૬,૦૦૦/-, અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૯,૪૦,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં તેઓએ કબૂલાત કરી હતી કે લોખંડના પાના વડે તાળા તોડી છેલ્લા બે મહિનામાં જ ઉમરાળા ગામમાં ચાર જેટલા મકાનોમાં ચોરી કરી હતી. આ ઉપરાંત, સિહોર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં પણ આરોપી છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.આ ઇસમો રાતના સમયે જે તે વિસ્તારમાં આંટા ફેરા મારીને બંધ મકાનને ટારગેટ કરી પાનાથી મકાનમાં મારેલ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.હાલ ન્ઝ્રમ્ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને ઉમરાળા પોલીસને સોંપવામાં આવ્યા છે તેમજ સિહોર પોલીસને પણ આ અંગે જાણ કરી આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.




