ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીને વધુ સુદૃઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ પ્રશ્નોની ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે અગાઉની બેઠકોમાં આપવામાં આવેલી સૂચનાઓ પર થયેલી કામગીરીના અહેવાલની ઝીણવટભરી તપાસ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં ખાસ કરીને ભાવનગર શહેરના શિવાજી સર્કલને ‘સ્કૂલ ઝોન’ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ચોમાસાની ઋતુ દરમિયાન રખડતા પશુઓના કારણે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે સમયસર અને અસરકારક પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી.
માર્ગોના આયોજન અંગે ચર્ચા કરતા વલ્લભીપુર-ભાવનગર રોડ પર ચોગઠ ચોકડી બાદ અને સીતારામ પેટ્રોલિયમ નજીકના બ્રિજ કોરિડોરમાં સલામતીના કામો હાથ ધરવા જણાવાયું હતું. તેમજ વલ્લભીપુર-નવાગામ માર્ગ પર લીમડા અને લખાણકા ગામ તરફ જતા ‘Y’ જંક્શનનો સલામતીલક્ષી વિકાસ કરવા અને તળાજા-મહુવા નેશનલ હાઈવે પર બનેલા અનધિકૃત મીડિયન કટ તાકીદે દૂર કરવા સૂચના અપાઈ હતી.
શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઇસ્કોન ક્લબથી કાળિયાબીડ સુધીના માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થાપન સુધારવા વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સાથે કેન્દ્ર સરકારની PM રાહત યોજના અને રાહવીર યોજનાના અમલીકરણ તેમજ ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ અંતર્ગત વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (આર.ટી.ઓ.) આર.પી. દાણીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની માર્ગ સલામતી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.



