દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે. વાપીના પોશ ગણાતા વિસ્તારો જેવા કે અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. 23 જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન જ વલસાડના ઉમરગામમાં ફરી 7.20 ઈંચ વરસાદ તો સુરતના ઉમરપાડામાં 5.12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે નવસારીના ખેરગામમાં અઢી ઈંચ અને ભરુતમાં 2.28 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. માત્ર બે કલાકના ગાળામાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 108 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો.
અમદાવાદ સહિત રાજ્યના ૨૦ જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ગઈકાલથી વલસાડ, સુરત અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીનો તો જાણે વારો જ પાડી દીધો હોય એ રીતે ભયંકર વરસાદ પડી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં તો રીતસરનું આભ ફાટ્યું છે અને 24 કલાકમાં જ 35 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ હેઠળ હવામાન વિભાગે વધુ ડરામણી આગાહી કરી છે.
અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે






