ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સ્થાપક માનભાઈ ભટ્ટ દ્વારા નિર્મિત બિલ્ડિંગ ૫૦ વર્ષ બાદ અત્યંત જર્જરિત થઈ જતાં રૂ. ૧૫ કરોડના ખર્ચે નવા અને તમામ સુવિધાસભર આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા બિલ્ડિંગના નિર્માણના ત્રણ વર્ષના સમયગાળા બાદ, ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે આશ્રમવાસી વડીલોએ નવા સુવિધાજનક ધામમાં મંગળ પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે વડીલોના ચહેરા પર અનોખો આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો. આ બાંધકામના ત્રણ વર્ષ દરમિયાન વડીલો અન્ય જગ્યાએ રહેતા હતા, જ્યાં સંસ્થાના સેવાભાવી લત્તાબેન સોનપાલ દ્વારા ગૃહપાલ તરીકે તમામ વડીલોની ઉત્કૃષ્ટ માવજત અને સંભાળ રાખવામાં આવી હતી. ઉપરાંત, નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં સંસ્થાના સ્ટાફ રાજેશભાઈએ પણ પ્રશંસનીય યોગદાન આપ્યું હતું. ગૃહપ્રવેશ પ્રસંગે સંસ્થાના મંત્રી બુધાભાઈ પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ શાહ અને નીલેશભાઈ ચલાળીયાએ હાજર રહી સૌ વડીલોને નવા ભવનમાં ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. સંસ્થાના સહમંત્રી દેવેનભાઈ શેઠે બહારગામથી જ વડીલો તેમજ સ્ટાફ પરિવારનું કેડબરી ચોકલેટ વડે મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આર્કિટેક્ટ રજનીકાંત મચ્છર તથા કમલેશભાઈ ડોડીયા દ્વારા ડિઝાઇન કરાયેલું આ નવનિર્મિત ભવન આગામી ૧૦૦ વર્ષો સુધી વડીલો માટે સુરક્ષિત અને હુંફાળો આશરો બની રહેશે તેવી આશા સહમંત્રી દેવેનભાઈ શેઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.





