ઇન્ડોનેશિયાનાં મદુરા દ્વીપની પાસે એક જહાજમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે અને ૪૧ લોકો લાપતા છે તેમ ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. મુટિયારા સેંટોસા-૨ નામના જહાજમાં સ્થાનિક સમય અનુસાર સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. આ જહાજ પૂર્વી જાવા પ્રાંતનાં સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીનાં મકાસર જઇ રહ્યું હતું.
મદુરા દ્વીપ જાવાનાં ઉત્તર પૂર્વ કાંઠાની પાસે આવેલું છે. ઇન્ડોનેશિયાની નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ જણાવ્યું હતું કે આગ લાગવાનાં સમયે જહાજ પર ૨૭૧ લોકો સવાર હતાં. જેમાં ૨૩૨ યાત્રી અને ૩૯ ક્રૂ મેમ્બર સામેલ હતાં. બાસારનાસનાં જણાવ્યા અનુસાર જહાજ ઓપરેટર પીટી એટોસિમ લેમ્પંગ પેલયારને આગ લાગવાનાં એક કલાક પછી બચાવ દળને જાણ કરી હતી.તેમને કેપ્ટન પાસેથી જાણ થઇ હતી કે મદુરા દ્વીપનાં ઉત્તરી ભાગ પાસે જહાજમાં આગ લાગી હતી. ત્યારબાદ જહાજ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ અધિકારીઓએ પાસેનાં એક કાર્ગો જહાજથી સંપર્ક કરી જહાજનાં લોકેશનની માહિતી મેળવી હતી. જો કે આ કાર્ગો જહાજ આગ લાગેલા જહાજ પાસે જઇ શક્યું ન હતું કારણકે તેમાં દહનશીલ વસ્તુઓ હતી.






