સંસદમાં હાલમાં જ રજૂ થયેલા નવા વિધેયક બાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાના પ્રસ્તાવને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ નવા પ્રસ્તાવ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગવાની વાત સામે આવી છે. જેને લઈને સામાન્ય નાગરિકોમાં મૂંઝવણ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા આનાથી કંઈક અલગ છે.
આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે આ અંગે કોઈ પણ નિવેદન આપવું ખૂબ જ ઉતાવળભર્યું સાબિત થશે. પેમેન્ટ સિસ્ટમ અને સંશોધનો પર હજુ ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો ખર્ચ કોઈકે તો ઉઠાવવો જ પડે છે, પરંતુ RBIનું મુખ્ય ધ્યાન ડિજિટલ લેવડ-દેવડને સુરક્ષિત અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા પર જ છે.
આ નવા વિધેયક અને પ્રસ્તાવને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ભ્રામક માહિતી ફેલાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે આ નિયમ માત્ર વેપારીઓ અને મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે જ છે. દૂધ, શાકભાજી, કરિયાણા અને ઓટો-ટેક્સીના સામાન્ય રોજિંદા વ્યવહારો પર તેની કોઈ જ અસર નહીં થાય. ગ્રાહકો અગાઉની જેમ જ 1 લાખ રૂપિયા સુધીની દૈનિક મર્યાદામાં નિશ્ચિંત થઈને પેમેન્ટ કરી શકશે.આપણા દેશમાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 95 ટકા ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાની મર્યાદાથી ઓછા હોય છે, જ્યારે માત્ર 5 ટકા ટ્રાન્ઝેક્શન જ આ મર્યાદાથી ઉપર થાય છે. તેથી આ પ્રસ્તાવિત શુલ્ક માત્ર તે મર્યાદિત વેપારી વ્યવહારો પર જ લાગુ પડશે. આ શુલ્ક 0.25 ટકાથી 0.4 ટકા સુધી હોઈ શકે છે, પરંતુ તેના અમલીકરણ અને સમયસીમા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.




