NEET-UG 2026 પેપર લીક મામલે CBIની ચાર્જશીટે NTAની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તપાસ મુજબ, વિષય નિષ્ણાતો મનીષા મંધારે, પ્રહ્લાદ કુલકર્ણી અને મનીષા હવાલદારે પુણેમાં પોતાના અધિકૃત એક્સેસનો દુરુપયોગ કરીને પ્રશ્નપત્ર લીક કર્યું હતું. તેમણે ઉમેદવારોને પ્રશ્નો મૌખિક રીતે જણાવી લાખો રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા હતા. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ 10 ઓગસ્ટે આ ચાર્જશીટ પર સુનાવણી કરશે.
તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે પ્રશ્નપત્ર કોઈ પ્રિંટિંગ પ્રેસમાંથી લીક થયું નહોતું, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે કામ કરી રહેલા વિષય નિષ્ણાતોએ જ પોતાના અધિકૃત એક્સેસનો દુરુપયોગ કરીને પેપર બહાર પહોંચાડ્યું હતું. આ મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ 10 ઓગસ્ટે સંજ્ઞાન લેશે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્રના ગોપનીય અનુવાદ, બેક-ટ્રાન્સલેશન અને પ્રૂફરીડિંગની પ્રક્રિયા દરમિયાન વિષય નિષ્ણાતોએ પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બોટની-ઝૂલોજીના નિષ્ણાત મનીષા ગુરુનાથ મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રહ્લાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદારે પ્રશ્નપત્રની માહિતી બહાર પહોંચાડી હતી. આ ગંભીર બેદરકારીના કારણે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની પવિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.સીબીઆઈની તપાસ મુજબ, એપ્રિલ 2026 દરમિયાન પ્રહ્લાદ કુલકર્ણી અને મનીષા મંધારેએ પુણે સ્થિત પોતાના ઘરો પર ગુપ્ત સ્પેશિયલ રિવિઝન સેશન યોજ્યા હતા. આ સેશન્સમાં ઉમેદવારોને પ્રશ્નો, તેમના ચાર વિકલ્પો અને સાચા જવાબો મૌખિક રીતે જણાવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ આ તમામ બાબતો પોતાની નોટબુકમાં હાથથી નોંધી હતી, જેથી તેનો કોઈ પણ પ્રકારનો ડિજિટલ રેકોર્ડ ન બની શકે અને કૌભાંડ લાંબા સમય સુધી છુપાયેલું રહે.





