મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૯થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનારા ‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પૂ. મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો.

કાર્યક્રમમાં પૂ. મોરારીબાપુએ અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. તેમણે અનુરોધ કર્યો હતો કે ‘વંદે માતરમ્’નું માત્ર ગાન જ નહીં, પરંતુ તેનું ભાન પણ કાયમ રહેવું જોઈએ. વ્યક્તિ પોતાના વિચાર, ઉચ્ચાર, આચાર, વ્યવહાર અને વિહાર પર સંયમ રાખે તો તેનું જીવન રાષ્ટ્રસેવાનું માધ્યમ બની શકે છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અનોખા આયોજન બદલ યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડતો આ સંદેશ સર્વત્ર પ્રસરે તે આવશ્યક છે. કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજે ભારપૂર્વક જણાવ્યું કે, વીજળી-પાણીની બચત અને પર્યાવરણ જતન જેવી પોતાની રોજિંદી જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવવી એ જ સાચી રાષ્ટ્રવંદના છે.
આ પ્રસંગે પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાએ ‘વંદે માતરમ્’ ગીતના ઐતિહાસિક સંદર્ભો અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના યોગદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભે સ્વામી સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિહિત પાઠકના નિદર્શન હેઠળ લોકવાદ્યવૃંદની ભાવસભર પ્રસ્તુતિ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. શક્તિસિંહ પરમાર અને ડો. ધૃતિ પંડ્યાએ કર્યું હતું. આ સપ્તાહ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીઓને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




