મહારાષ્ટ્રના અમરાવતીમાં આજે સવારે મહિલા હોસ્પિટલના નવજાત શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગવાથી ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ. આગમાં દાઝી જવાથી ત્રણ નવજાત શિશુઓના મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે. સવારે 3:30 વાગ્યે વેન્ટિલેટરમાં અચાનક વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. વોર્ડમાં 39 નવજાત શિશુઓ હતા, જેમાંથી 36 ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણના મોત થયા હતા.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ મહિલા હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલા શિશુવોર્ડમાં આગ લાગી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરો, નર્સો અને સ્ટાફે નવજાત શિશુઓને સલામત સ્થળે ખસેડ્યા હતા. છ બાળકોને સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ખતરાથી બહાર છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નવજાત શિશુ વોર્ડમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ત્રણ બાળકોના મોત થયાં છે. જો કે, બાકીના બાળકોને બચાવી લેવામાં હોસ્પિટલના સ્ટાફને સફળતા મળી છે. આ નવજાત બાળકોને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવી દેવામાં આવ્યાં છે. આમાંથી 6 બાળકોની હાલત થોડી ગંભીર જણાતા તેમને સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ સારવાર આપવા માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ મામલે જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યાં હતાં.






