ભારતમાં એકવાર અલ નીનો સક્રિય થઈ ગયો છે, જેના કારણે દેશમાં ચોમાસાની ચાલ અત્યંત નબળી પડી ગઈ છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી દેશભરમાં સામાન્ય કરતા 15% ઓછો વરસાદ નોંધાયો છે. જો વરસાદની આ સ્થિતિ આગળ પણ યથાવત રહેશે, તો આ વર્ષ 2009 પછી સૌથી નબળું ચોમાસુ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં સામાન્ય કરતા 18% ઓછો વરસાદ થયો હતો, જેના કારણે ફરી એકવાર 17 વર્ષ જૂનું જોખમ તોળાતું નજરે પડી રહ્યું છે.
ભારત દુનિયામાં ચોખા, ખાંડ અને કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જ્યાંના કરોડો ખેડૂતો પોતાની પાકની સિંચાઈ માટે સંપૂર્ણપણે મોસમી વરસાદ પર નિર્ભર છે. આખા વર્ષ દરમિયાન થતા કુલ વરસાદનો મોટો હિસ્સો આ જ સિઝનમાં વરસે છે. આ સ્થિતિમાં ચોમાસાની આ ઘટ માત્ર વર્તમાન પાકને જ નુકસાન પહોંચાડી રહી નથી, પરંતુ આગામી પાકની વાવણીને પણ ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે.
ઓછા વરસાદ અને પાકના ઉત્પાદનમાં ઘટાડાને કારણે દેશમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.
અંતરરાષ્ટ્રીય હવામાન નિષ્ણાતોના મતે, સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક ટ્રૉપિકલ સાયક્લોન (ચક્રવાત) માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. જેનાથી પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં જરૂરી વરસાદ થવાની સંભાવના છે, જેથી સ્થાનિક સ્તરે પાણીની અછત થોડા અંશે દૂર થઈ શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ વાવાઝોડાથી દેશભરના કુલ વરસાદના આંકડામાં કોઈ મોટો સુધારો થવાની શક્યતા ઓછી છે






