અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મૂળ ભાવનગરના કોળિયાકના વતની ભાવનાબહેન ભદ્રેશભાઈ ડાભી નામનાં મહિલા પોલીસકર્મીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. દોઢ વર્ષ પહેલાં જ ભાવના બહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ ભાવનગરના ખડસલીયા ગામના વતની ભદ્રેશ ડાભી સાથે થયા હતા.ગુરુવારે સાંજે ભાવનાબહેન અને ભદ્રેશ ઘરમાં હાજર હતા. ત્યારે ભદ્રેશભાઈ અંદર બેડરૂમમાં સુતા હતા. જ્યારે ભાવનાબહેને તે જ સમયે ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે ભદ્રેશ ભાઈએ પત્નિને ગળેફાંસો ખાધેલી હાલતમાં જાેતા રાણીપ પોલીસને જાણ કરાઈ હતી.
આપઘાત કરનાર ભાવનાબેન વર્ષ ૨૦૧૬માં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયાં હતાં. જ્યારે હાલમાં તેઓ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતાં. ભાવનાબહેન અને પતિ ભદ્રેશભાઈ બંને છેલ્લા ૫ દિવસથી રજા ઉપર હતા. જ્યારે બંને ગુરુવારે જ નોકરી ઉપર હાજર થવાના હતા. જાેકે ભાવનાબેને નોકરી પર હાજર ન થઈ આપઘાત કર્યો હતો. તેવામાં ભાવનાબહેન અને પતિ ભદ્રેશ વચ્ચે કયા કારણથી કંકાસ ચાલી રહ્યો હતો તે જાણવા માટે પોલીસે ભદ્રેશભાઈ બંનેના પરિવારના સભ્યો તેમજ સ્થાનિક રહીશોની પૂછપરછ શરૂ કરી છે.