કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સમગ્ર હવે ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની દાવેદારીને લઈને વધારે અસમંજસની સ્થિતિ હતી ત્યારે હવે તેનો અંત આવ્યો છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, ‘તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના છે.’ તેમના કહેવા મુજબ, ‘રાહુલ ગાંધીએ નક્કી કરી દીધું છે કે તેઓ રેસમાં નહીં હોય, આથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને પદ માટે દાવેદારી રજૂ કરશે.’
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને આખરે કન્ફ્યુઝન દૂર કર્યું છે અને એલાન કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ગેહલોતે કહ્યું કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે અને આગામી સમયમાં નામાંકન ભરીશ, દેશની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જરૂરી છે.
અશોક ગેહલોતે ચૂંટણી લઈને ગાંધી પરિવારની ભૂમિકા પર પણ ખુલાસો કર્યો હતો, ગેહલોતે કહ્યું મેં ઘણીવાર રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તેમણે ખૂબ જ સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ જ ચૂંટણી લડશે નહીં. ચૂંટણી લડવાની જાહેરાત સાથે અશોક ગેહલોતે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ રાજસ્થાનના સીએમ પદ છોડવા જઈ રહ્યાં છે. તેઓએ કહ્યું કે એક વ્યક્તિ એક પદ હેઠળ રાજસ્થાનનું સીએમ પદ છોડશે. સોનિયા ગાંધી અને પ્રદેશ પ્રભારી નક્કી કરશે કે આગળ કમાન કોને મળશે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના હોવા પર 17 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.