ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના સિમડી ગામ પાસે રિખનીખાલ-બિરોખાલ રોડ પર અંદાજે 45થી 50 લોકોને લઈ જઇ રહેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછાં 25 લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે DGP અશોક કુમારે માહિતી આપતા જણાવ્યું કે, ‘ધુમાકોટના બિરોખાલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા પૌડી ગઢવાલ બસ અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવી લીધા છે. જ્યારે અન્ય ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.’
મળતી માહિતી અનુસાર, જાનૈયાથી ભરેલી આ બસ લાલધાંગથી કારા તલ્લા જઈ રહી હતી. ત્યારે અંદાજે 45થી 50 મુસાફરો ભરેલી બસ બેકાબુ બની બિરોખલ નજીક ખીણમાં ખાબકી હતી. બસ એક લગ્નપ્રસંગ પતાવીને આવી રહી હતી કે જેમાં 50 જાનૈયાઓ સવાર હતા. જોકે આ ઘટના બાદ ઘટનાસ્થળે તુરંત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ગામલોકોએ પણ સ્થળ પર જ મૃતદેહોની શોધખોળ માટે વહીવટી તંત્ર સાથે મળીને પણ કામગીરી હાથ ધરી હતી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં વહીવટી તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બાંદ્રા-વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત, 5ના મોત
મુંબઈના પ્રખ્યાત બાંદ્રા વરલી સી લિંક પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ આજે પરોઢિયે મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર ગોઝારો અકસ્માત થયો. જેમાં એમ્બ્યુલન્સ સાથે કેટલીક ગાડીઓ અથડાઈ જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા. અકસ્માત બાંદ્રાથી વરલી જઈ રહેલી લેનમાં થયો. અહીં પહેલેથી એક અકસ્માત થયો હતો જેમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. રસ્તા પર એમ્બ્યુલન્સ અને કેટલીક ગાડીઓ ઊભી હતી. ત્યારે અચાનક ત્યાં પૂરપાટ ઝડપે ગાડીઓ આવી રહેલી ગાડીઓ પહેલેથી ઊભેલી ગાડીઓ અથડાઈ. જેની ઝપેટમાં ત્યાં ઊભેલા લોકો પણ આવી ગયા.