નાઈજીરિયાના અનમ્બ્રા રાજ્યમાં રવિવારે એક બોટ ક્રેશ થઈ ગઈ. આ બોટ પૂરમાં ફસાયેલા 85 લોકોને બચાવવા માટે આવી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 76 લોકોના મોત થયા હતા, જ્યારે બોટ પૂરના કારણે 85 લોકોને લઈને જઈ રહી હતી. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ આ ઘટનાની જાણકારી મળ્યા બાદ શોક વ્યક્ત કર્યો છે.
નાઇજિરીયાના રાષ્ટ્રપતિએ ટ્વિટર પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના અનમ્બ્રા ક્ષેત્રમાં વધતા પૂરને પગલે 85 લોકોને લઈ જતી બોટ પલટી ગઈ હતી, જેમાં ઇમરજન્સી સર્વિસ સેન્ટરે 76 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. દુર્ઘટનાના સમાચાર બાદ નાઈજીરિયાની સરકારે બચાવ કામગીરી તેજ કરી દીધી છે. અગાઉ રવિવારે, કટોકટી સેવાઓએ જણાવ્યું હતું કે પાણીનું સ્તર વધવાથી બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે.
નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના દક્ષિણપૂર્વ સંયોજક થિકેમેન તનિમુએ એએફપીને જણાવ્યું હતું કે, ” શોધ અને બચાવ કામગીરી માટે પાણીનું સ્તર ખૂબ ઊંચું છે અને ખૂબ જોખમી છે.” તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવેલા પૂરમાં આ સૌથી વધુ જોખમી સૌથી ખરાબ પૂર હતું, નેમાએ નાઈજિરિયન એરફોર્સને બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર પ્રદાન કરવા વિનંતી કરી હતી. અનમ્બ્રા રાજ્યના ગવર્નર ચાર્લ્સ સોલુડોએ પૂરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવા વિનંતી કરી, જ્યારે એમ પણ કહ્યું કે સરકાર આપત્તિથી પ્રભાવિત લોકોને રાહત આપશે.
નાઇજીરીયામાં ઓવરલોડિંગ, ઝડપ, નબળી જાળવણી અને નેવિગેશન નિયમોની અવગણનાને કારણે બોટ અકસ્માતો નિયમિતપણે થાય છે. વરસાદની મોસમની શરૂઆતથી, પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રના 200 મિલિયનથી વધુ લોકોના ઘણા વિસ્તારો પૂરથી તબાહ થઈ ગયા છે. કટોકટી સેવાઓ અનુસાર, 300 થી વધુ લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 100,000 બેઘર થયા છે. અવિરત વરસાદે ખેતીની જમીન અને પાક ધોવાઈ ગયા છે, જે દેશમાં પહેલેથી જ કોવિડ-19 રોગચાળા અને યુક્રેનમાં યુદ્ધની અસરોથી ઝઝૂમી રહેલા દેશમાં ખોરાકની અછત, દુષ્કાળ અને ભૂખમરાની આશંકા ઊભી કરી છે.