કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સીએમના નામની જાહેરાત કરી છે. અમદાવાદમાં એક ચેનલ સાથેની વાતચીતમાં શાહે કહ્યું કે જો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. શાહે જણાવ્યું હતું કે, “જો ભાજપને ગુજરાતમાં બહુમતી મળશે, તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્યમંત્રી હશે.
જીતના કિસ્સામાં ભૂપેન્દ્ર પટેલ જ સીએમ બનશે તે અમિત શાહના નિવેદન પરથી સ્પસ્ટ બન્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક ખાનગી કાર્યક્રમમાં અમિત શાહ ભૂપેન્દ્ર પટેલને સીએમ તરીકે જાળવી રાખવાની વાત કરી ચૂક્યા છે.
ઘાટલોડિયાએ આપ્યાં બે મુખ્યમંત્રીઓ

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીનો દમદાર માહોલ જામ્યો છે. પ્રચાર-પ્રસાર અને જીતના દાવા થઇ રહ્યા છે. જીત માટે ઉમેદવારો મતદારોને રીઝવવા દિવસરાત એક કરીને મહેનતમાં લાગી ગયા છે. તેવામાં ગુજરાતનો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર ચુંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે. કારણ કે, આ મતવિસ્તાર પરથી ગુજરાતને બે મુખ્યમંત્રીઑ મળ્યા છે. જેમાં આનંદીબેન પટેલ અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ત્યારે હાલ પણ ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક પરથી ભુપેન્દ્ર પટેલને ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે આ સીટ સૌનું ધ્યાન ખેંચનારી રહેશે.






