ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપની ભારે જીત તો થઈ પણ સાથે સાથે એક નવો રેકોર્ડ પણ તૂટયો છે. મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2002માં 127 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી જે બાદ જેટલી ચૂંટણી થઈ તેમાં ભાજપની સીટો સતત ઘટી રહી હતી. આમ 127નો આંકડો પીએમ મોદીનો રેકૉર્ડ હતો અને હવેના ભાજપે આ આંકડો પણ પાર કરી લીધો છે. આ તરફ ભાજપની જીતના પણ અનેક કારણો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ પ્રચારનો મોદી મેજિક ગુજરાતમાં ચાલી ગયો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય મેગા રોડ શો અને રેલીઓ-સભા સંબોધી હતી. જેમાં અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હતો.PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મોટો દાવ રમ્યો હતો. જેમાં ગુજરાતની અનેક બેઠકો ઉપર નો રિપીટ થીયરી પણ અપનાવી હતી. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓનું પત્તું પણ કપાયું હતું. જ્યાં નવા ચહેરાઓએ ટિકિટ મળ્યા બાદ તે પણ પાર્ટીની આશા પર ખરા ઉતર્યા છે. પહેલા ચર્ચા હતી કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને નુકશાન થશે. તો વળી ચૂંટણી ટાઈમે ભાજપ-કોંગ્રેસે આમ આદમી પાર્ટીને એકબીજાની બી ટીમ ગણાવી હતી. જોકે આ બધાની વચ્ચે હવે પરિણામને જોતાં આ તમામ વાતો ખોટી પડી હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિને જોતા ચુંટણી રિઝલ્ટના ટ્રેન્ડ્સ પ્રમાણે હવે આપને કારણે કોંગ્રેસને જ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
ભાજપને આ ચૂંટણીમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા યુવા ચહેરાઓ કામે લાગ્યા છે. ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી ભાજપ ઠાકોર સમાજના મતદારોને રીઝવવામાં સફળ રહી છે. આ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલને તેના હોમટાઉન વિરમગામથી ટિકિટ આપી છે. જેથી પાટીદાર વોટબેન્ક પણ સચવાઈ ગઈ હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને આસામના મુખ્યમંત્રીનો ગુજરાતમાં પ્રચાર કર્યો હતો. આ સાથે દરેક વિધાનસભામાં ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કર્યો હોય તે પણ જિતનું એક કારણ ગણી શકાય છે. આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાયા બાદ પણ પક્ષને અનેક નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પર વિશ્વાસ હતો. આ સાથે બળવાખોરો કશું બગાડી નહીં શકે તેવો પાર્ટીને વિશ્વાસ હતો. જેને કારણે પક્ષના કાર્યકર્તાઓએ પણ છેલ્લા સમય સુધી ઘરે ઘરે પહોંચી પ્રચાર કર્યો હતો.