રાણપુરની રુકમણી કન્યાશાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શાળાના જ વિધર્મી શિક્ષક જાવેદ ચુડાસરાએ શારીરિક અડપલા કરી છેડતી કરતા સમગ્ર રાણપુર સહિત પંથકમાં ભારે રોષ ફેલાયો છે આ અંગેની રાણપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી શિક્ષક વિરોધ ipc 354, પોક્સો સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી આરોપી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે દરમિયાન આજે શિક્ષકને આકરી સજા કરવાની માંગ સાથે રાણપુરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો અને વિશાળ રેલી નીકળી હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાણપુરની રૂક્ષ્મણીબેન શેઠ કન્યાશાળામાં તાજેતરમાં એક વિધર્મી શિક્ષકે ધોરણ છ માં ભણતી વિદ્યાર્થીની સાથે બિભત્સ માગણી કરી શારીરિક અડપલા કરી છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ બનતા રાણપુર પંથકમાં ભારે ચકચાર મચી પામ્યો હતો અને શિક્ષક જાવેદ ચુડેસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તુરંત જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન રાણપુરમાં બનેલા બનાવને લઈને ભારે રોષ ફેલાયો છે આ અંગે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે આજે ગુરુવારે સમગ્ર શહેર બંધ રહ્યુ હતુ અને બપોરના સમયે સગીરબાળાને ન્યાય આપો, નરાધમ શિક્ષકને ફાંસી આપો સહિતના નારા સાથે રાણપુર બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી વિશાળ મૌન રેલી નીકળી હતી જેમાં રાણપુરના આગેવાનો, વેપારીઓ, ભાઈઓ – બહેનો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. મામલતદારને આવેદનપત્ર આપી માસુમ બાળા સાથે છેડતી કરનાર લંપટ શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી અને ભોગ બનનાર દીકરીને ન્યાય આપવાની માંગણી કરી હતી.