ગુજરાત સરકારે બે સલાહકાર તરીકે નિમણૂક કર્યા પછી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય કેબિનેટના મંત્રીઓના અંગત સ્ટાફની નિયુક્તિના ઓર્ડર કરી દીધાં છે. એક જ ઓર્ડરમાં વિભાગે 16 મંત્રીઓના અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂકના આદેશ કર્યા છે.
આ અધિકારીઓ પૈકી અંગત મદદનીશની જગ્યા પર નિમણૂક પામેલા જે તે અધિકારીઓના પગાર ધોરણમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. તત્કાલિન મંત્રીમંડળના તમામ કાર્યાલયોમાંથી ફરજમુક્ત થયેલા અધિકારીઓ પૈકી ઉપરોક્ત નિમણૂક પામેલા અધિકારીઓના ગુજરાત મુલ્કી સેવા નિયમો પ્રમાણે 12મી ડિસેમ્બર 2022 થી 2જી જાન્યુઆરી 2023 સુધીના સમયગાળાને ફરજીયાત પ્રતિક્ષા સમય એટલે કે ફરજ પર જોડાવાના સમય તરીકે મંજૂર કરવામાં આવ્યો છે.
આ અધિકારીઓની પ્રતિનિયુક્તિની મુદ્દત દરમ્યાન તેમના મૂળ વિભાગના સંવર્ગની જગ્યામાં જે પગાર ધોરણમાં જે તબક્કે પગાર અને ભથ્થાં મેળવતા હશે તે જ તબક્કે પગાર અને ભથ્થાં મેળવશે. 16 મંત્રીઓ પૈકી ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ-રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અંગત સચિવની જગ્યા પર નિવૃત્ત અધિક કલેક્ટર વિપુલ કે મહેતાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પાંચ વર્ષ સુધી આ પોસ્ટ પર રહી શકશે.
રાજ્ય સરકારે વૈદ્યાનિક અને સંસદીય બાબતોના સચિવ તરીકે સીજે ગોઢી અને કેએમ લાલાની કરાર આધારિત નિમણૂકને વધુ એક વર્ષ માટે લંબાવી છે, તેથી આ બન્ને ઓફિસરો 6 જાન્યુઆરી 2024 સુધી ફરજ બજાવી શકશે. જેઓને પીએ પીએસ તરીકે નિમણુંક અપાઇ છે તે તમામ લોકોએ ઓર્ડર થયા ના ૨૪ કલાકમાં નવી નિમણુંકની જગ્યાએ હાજર થવાનું રહેશે. તેઓએ મંત્રી ઓફિસમાં હાજર થઇને રિપોર્ટ કરવાનો રહેશે અને તેઓ હાલ જે જગ્યાએ છે ત્યાનું કામકાજ નિયત જ આટોપી લેવાનું રહેશે