એશિયાનો સૌથી મોટો એરો શો કર્ણાટકમાં શરૂ થવા જઈ રહ્યો છે. વિગતો મુજબ વડાપ્રધાન મોદી આ કાર્યક્રમને ફ્લેગ ઓફ કરવાના છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારતની સંરક્ષણ ક્ષમતાને આગવી રીતે દર્શાવવામાં આવશે. નોંધનીય છે કે, કુલ 29 દેશોના એર ચીફ, 73 સીઈઓ પણ હાજરી આપવાના છે.
આ વખતે કાર્યક્રમમાં UAV સેક્ટરની વૃદ્ધિ, ભવિષ્યની અદ્ભુત ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. એલસીએ તેજસ, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને પણ પ્રમોટ કરવામાં આવશે. કર્ણાટકમાં એશિયાના સૌથી મોટા એરો શોને લઈ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એરો ઈન્ડિયાનો આ કાર્યક્રમ ભારતની સંરક્ષણ ક્ષમતાને મુખ્ય રીતે દર્શાવવા જઈ રહ્યો છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ કાર્યક્રમ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમનું આયોજન યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલ 98 દેશો ભાગ લેવાના છે, 32 દેશોના સંરક્ષણ મંત્રીઓ પણ હાજર રહેશે. આ સિવાય 809 ડિફેન્સ કંપનીઓ પણ આ પ્રોગ્રામમાં આવવાની છે, મોટી વાત એ છે કે, ઘણી સ્ટાર્ટ અપ કંપનીઓ પણ લોકોને નવી ટેક્નોલોજીથી માહિતગાર કરવા જઈ રહી છે. આ તરફ એવી માહિતી આપવામાં આવી છે કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો એરો શો બનવા જઈ રહ્યો છે. અહીં પણ 15 ફેબ્રુઆરી સુધી સમગ્ર કાર્યક્રમ માત્ર બિઝનેસ પૂરતો જ સીમિત રહેશે, પરંતુ તે પછી 16 થી 17 ફેબ્રુઆરી સુધી સામાન્ય લોકો પણ અહીં આવીને કાર્યક્રમ નિહાળી શકશે.