પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે આઠથી દસ આતંકવાદીઓ પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા અને ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. આ હુમલો શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં થયો હતો.
સિંધ પોલીસના આઈજીનું કહેવું છે કે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનના ARY ન્યૂઝના અહેવાલ મુજબ, કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં સંભવતઃ હાજર પાંચ વધુ આતંકવાદીઓને મારવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આ આતંકીઓ પાસે ભારે વિસ્ફોટકો અને હથિયારો છે, જેનાથી તેઓ સતત હુમલા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આ આતંકવાદીઓ પાસે હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન છે. પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસ દળોએ AIG ઓફિસ નજીકના વિસ્તારને ઘેરી લીધો છે. સિંધ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સને કેપીઓ નજીક મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ આતંકીઓ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ પહેલા પોલીસ હેડક્વાર્ટર પર અડધો ડઝન હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને પછી અંદર ઘૂસી ગયા. પોલીસ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે અર્ધલશ્કરી દળો, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. હુમલાખોરોને ઘેરવા માટે જિલ્લાની તમામ મોબાઈલ વાનને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી છે. પાકિસ્તાની રેન્જર્સના પ્રવક્તાએ જણાવ્યું કે ક્વિક રિસ્પોન્સ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારને ઘેરી લીધો.
ડૉ. સુમરિયા સૈયદે જણાવ્યું કે ઘાયલ કાર્યકરને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ ઘટનાની નોંધ લેતા સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સંબંધિત વિસ્તારના ડીઆઈજીને હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી. સંબંધિત અધિકારી પાસેથી રિપોર્ટ માગતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.