ભાવનગરના આર.ટી.ઓ. રોડ પર આવેલ બિલ્ડિંગના ગોડાઉનમાં ગત મોડી રાત્રીના સમયે આગ લાગતા સોલાર પ્લેટ ભરેલા ખોખા, ઇલેક્ટ્રિક સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો.આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ કાફલો દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના આર.ટી.ઓ. રોડ પર આવેલ ટી.એમ. નારીના બિલ્ડીંગમાં આવેલ શાંતિભાઈ રતિલાલ વસાણીની માલિકીના ગોડાઉનમાં ગત મોડી રાત્રીના એક વાગ્યા આસપાસ કોઈ કારણોસર આગ લાગતા ગોડાઉનની અંદર રાખેલ સોલાર પ્લેટના બોક્સ, ઈલેક્ટ્રીક માલ સામાન સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો.
આ બનાવ અંગે મહિપાલસિંહ નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અને નુકસાની જાણી શકાઈ ન હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.
ભરતનગરમાં આવેલ મકાનમાં આગનું છમકલું
ભાવનગરના ભરતનગર શાકમાર્કેટ નજીક આવેલ પ્રગતિનગરના બ્લોક નંબર ૫૦૮૬ માં ત્રીજા માળે આવેલ કિરણભાઈ મોહનભાઈના મકાનમાં છાપરું અને બારણાના ભાગે આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક કામગીરી કરી આગ કાબૂમાં લીધી હતી.
કાળિયાબીડમાં ગેસની લાઈન લીક થતા દોડધામ
ભાવનગરના કાળીયાબીડ ભગવતી સર્કલ નજીક ગુજરાત ગેસની પાઇપલાઇન લીકેજ થતા ફાયર બ્રિગેડ તેમજ ગુજરાત ગેસ કંપનીનો કાફ્લો બનાવ સ્થળે દોડી ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડ, ભગવતી સર્કલ નજીક ગુજરાત ગેસની લાઈનમાં ગેસ લીકેજ થતા ગુજરાત ગેસના અધિકારી સહિતનો કફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક સમારકામ હાથ ધરી લીકેજ અટકાવ્યું હતું.આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ કાફલો પણ કાળિયાબીડ દોડી ગયો હતો.