એક તરફ ખેડૂતોને ભાવની ભાંજગડ સતાવતી હતી ત્યારે ઉપરથી કમોસમી વરસાદનો માર પડ્યો. આ સંજોગોમાં પાક ક્યાં સાચવવો તે સવાલે ધરતીપુત્રોની ઊંઘ હરામ કરી નાખી. જો કે, હવે મોડે મોડે કેન્દ્ર સરકાર ડુંગળઈ પકવતા ખેડૂતોની વહારે આવી છે, કેન્દ્ર સરકારે નાફેડને ડુંગળી ખરીદવાનો આદેશ આપ્યો છે.
રાજ્યમાં છેલ્લાં ઘણા સમયથી બટાકા અને ડુંગળી પકવતા ખેડૂતો મુસીબતમાં મુકાયા છે, કેમ કે, ખેડૂતોએ પોતાનો ડુંગળી અને બટાકા જેવો પાક બજારમાં મૂકવાનું શરૂ કર્યું કે તરત જ ભાવ ગગડવા લાગ્યા. બટાકા અને ડુંગળીના ભાવ માર્કેટયાર્ડમાં ત્યાં સુધી ગગડી ગયા કે, પોતાનો પાક વેચવા આવનારા ખેડૂતોને પૈસા મળવાના બદલે ઘરના પૈસા જોડવાના થયા, આમ મહામહેનતે પકવેલો પાક લાભ કરાવાવના બદલે ખોટના ખાડામાં ઉતારતો ગયો. જો કે, હવે કેન્દ્ર સરકાર ખેડૂતોની વહારે આવી છે, રાજ્યસરકારની વિનંતી બાદ કેન્દ્ર સરકારે શનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે, (નાફેડ)ને ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી કરવાનો આદેશ આપ્યો છે.
સરકારની જાહેરાતના પગલે આજથી નાફેડ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાનું શરૂ કરશે, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગરના (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે અને જરૂર પડશે તો સમયાંતરે વધુ ખરીદ કેન્દ્રો પણ ખોલવામાં આવશે. સરકારના આ નિર્ણયની પર એન.એચ.આર.ડી.એફના ડાયરક્ટેર પ્રશંસા કરી છે
નાફેડ ખેડૂતો પાસેથી 9 રૂપિયે કિલો ડુંગળી ખરીદવાનું છે, ત્યારે વેપારીઓમાં એ ચિંતા પણ ઊભી થઈ છે કે, અત્યાર સુધી ખેડૂતો પાસેથી 2 રૂપિયે કિલોના ભાવે ડુંગળી ખરીદી ચૂકેલા વેપારીઓ ક્યાંક નકલી ખેડૂત બનીને પોતાનો માલ નાફેડને ન પધરાવી દે. બજારની બાબતોના જાણકારો એ બાબતે પણ નાફેડને તકેદારી રાખવાની ચેતવણી આપી રહ્યા છે . બજારના નિષ્ણાતો માને છે કે, નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી થતાં અંતે ખુલ્લાબજારના વેપારીઓમાં પણ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા સ્પર્ધા વધશે જેનો ફાયદો પણ ખેડૂતોને મળશે, નાફેડ રેલવે દ્વારા માલ ઉપાડતા હોવાથી તેનો ફાયદો ખેડૂતોને તો થશે જ સાથે ગુજરાતમાંથી ખરીદેલી ડુંગળી અન્ય રાજ્યોમાં વેચતાં નાફેડને પણ ફાયદો થશે. આમ, હવે નાફેડ ખેડૂતોની વહારે આવી રહ્યું છે ત્યારે ડુંગળી ખરીદીની આખી પ્રક્રિયામાં ક્યાંક વેપારીઓ ગોલમાલ કરીને લાભ ન ખાટી જાય અને સાચા ખેડૂતો લાભથી વંચિત ન રહે તે માટે નાફેડ અને ખુદ ખેડૂતોએ જ તકેદારી રાખવી પડશે.