દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસોને લઈને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, રાજ્યોને એલર્ટ રહેવા અને સ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જો કે, આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી છે કે, અત્યાર સુધી કર્ણાટક અને હરિયાણાએ H3N2 થી એક-એક મૃત્યુની પુષ્ટિ કરી છે. આ માહિતી પછી, H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસોની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે, અને અમે આરોગ્યના તમામ પગલાં માટે તૈયાર છીએ. તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે સ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. દરમિયાન હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે, હરિયાણામાં અત્યાર સુધીમાં H3N2 વાયરસના 10 કેસ નોંધાયા છે. સાવધાનીની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. તેનો સામનો કરવા માટે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ.
કેરળમાં ઈન્ફલ્યુએન્ઝાના 2 કેસ નોંધાયા, હજુ સુધી કોઈ મૃત્યુ થયું નથી
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, અમે ઓક્ટોબર દરમિયાન કેરળમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ શોધી કાઢ્યા હતા અને એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. તબીબોને તાવના દર્દીઓના સેમ્પલ ઈન્ફલ્યુએન્ઝા ટેસ્ટ માટે મોકલવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં, અમારી પાસે અલપ્પુઝામાં 2 કેસ છે. હજી સુધી કોઈ નવો કેસ નોંધાયો નથી અને કોઈ મૃત્યુ પણ નોંધાયું નથી.