રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ જિલ્લાની કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની મુલાકાત કરી હતી. જેમાં કલેકટરે સ્વયં ૧૯૬૨માં કોલ કરીને એમ્બ્યુલન્સ કલેક્ટર ઓફીસે બોલાવી કામગીરીની સમીક્ષા કરી હતી. ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા અપાતી સેવાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. કોલનો તાત્કાલિક રીસ્પોન્સ મળતા કલેક્ટરશ્રીએ આરોગ્યકર્મીઓની સેવાની સરાહના કરી હતી.૧૯૬૨ એમ્બ્યુલન્સ તથા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જુદાજુદા પ્રકારની દવાઓ, અબોલ પશુઓને આપવામાં આવતી સારવાર, જરૂર પડયે પશુઓની સર્જરી કઈ રીતે થાય, સર્જરી માટેનાં આધુનિક સાધનો, કોલર રીસ્પોન્સ સહીતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે કલેક્ટરશ્રીએ અબોલ અને નિરાધાર પશુની વધુ માં વધુ સુદ્રઢ સારવાર આપવામાં આવે તે માટે આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થના ઉપક્રમે રાજ્યભરમાં એનિમલ કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કાર્યરત છે, જે પશુઓને નિઃશુલ્ક આરોગ્ય સેવા પુરી પાડે છે. ૧૯૬૨ના જિલ્લા સુપરવાઈઝરશ્રી જયદેવભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ ૨ સહીત સમગ્ર ગુજરાતમાં હાલ ૩૭ જેટલી કરુણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, જયારે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લામાં ૧૯ સહીત ૪૬૦ કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં ૧૯ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી દ્વારા ૨૧૦ જેટલા ગામડાઓમાં પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. માર્ચ – ૨૦૨૩ માં ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા ૫૧૪ પશુ સહીત અત્યાર સુધીમાં ૨૫,૯૨૨ તથા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ દ્વારા માર્ચ – ૨૦૨૩માં ૭૫૬૬ પશુ સહીત અત્યાર સુધીમાં ૨,૬૩,૧૩૬ નિરાધાર અને અબોલ પશુઓને સારવાર આપવામાં આવી છે. જેમાં ૨૮૯૭૪ પશુઓને તાત્કાલિક ઈમરજન્સી સારવાર આપવામાં આવી છે. જેમાં ગાય, ભેંસ,બળદ, કૂતરા, બકરી, ઘેટાં,જેવા તમામ પશુનો સમાવેશ થાય છે.





