ભાવનગર
રાજકોટ નજીક જામનગર હાઇ -વે પર તરઘડી ગામ પાસે આજે વહેલી સવારે ૩-૩૦ વાગ્યાના અરસામાં કાર અને ટ્રેકટર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવક અને ટ્રેકટર ચાલક સહિત ચાર વ્યકિતના ઘટનાસ્થળે મોત થયા હતા. બનાવના પગલે પડધરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતકોની ઓળખ મેળવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર કારચાલક જામનગરનો યુવક, રાજકોટના બે યુવાન અને ટ્રેકટરચાલક પડધરીના ફતેપર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતની પોલીસના સૂત્રોમાંથી પ્રા થયેલી પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ તરફથી નીકળેલી જી.જે. ૦૬-એચ. એસ.૬૪૦૩ નંબરની કાર જામનગર તરફ જઈ રહી હતી.

રાત્રીના ૩-૩૦ વાગ્યાના અરસામાં આ કાર પડધરીથી નજીક જામનગર હાઇ-વે પર આવેલા તરઘડી ગામ પાસે આગળ જઇ રહેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ ઘૂસી ગઇ હતી જેમાં ટ્રેકટરથી ટ્રોલી અલગ પડી ગઇ હતી અને ટ્રેકટરનો આગળનો ભાગ પલટી ખાઇ ગયો હતો. અકસ્માતમાં કારના બુકડો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં વહેલી સવારે પીએસઆઇ મકવાણા, જમાદાર વિજ્યભાઈ દાફડા, કુલદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કાર અને ટ્રેકટરમાંથી મળેલા પુરાવાના આધારે ચારેય મૃતકોની ઓળખ મળી હતી જેમાં ટ્રેકટરચાલક પડધરીના ફતેપર ગામનો રહેવાસી કિરીટ લીંબાભાઈ ડોબરિયા (ઉ.વ.૪૦) હોવાની ઓળખ મળી હતી.

કારમાં મૃત્યુ પામેલા ત્રણ યુવાનો પૈકી જામનગરના પાવર હાઉસ પાસે, ઠેબા ચોકડી નજીક રહેતો હિમાંશુ પ્રવીણભાઈ પરમાર (ઉ.વ.૩૨) નામનો યુવક કાર ચલાવતો હતો. તેની બાજુની સીટમાં રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અજય પ્રવીણભાઇ જોશી (ઉ.વ.૨૮) અને પાછળ સીટ ઉપર કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતો સંજય છગનભાઈ પરમાર (ઉ.વ.૨૦) હોવાની ઓળખ મળી હતી. કારમાં રહેલા ત્રણેય યુવકોએ પણ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો અરેરાટીભર્યા હતો કે, નજરે જોનાર પોલીસને પણ થોડીક પળો કમકમાટી છૂટી ગઈ હતી.




