શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ષડયંત્રકારો શહેરમાં સતત હુમલા કરીને તેને દરેક સ્તરે નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે ‘તેમની પાર્ટી મુંબઈમાં કોઈને નુકસાન પહોંચાડવા દેશે નહીં અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનવા દેવામાં આવશે નહીં.’
આ વિશે વાતચીત કરતાં રાઉતે આગળ કહ્યું હતું કે, “મારી પાર્ટી હોય કે પછી મહારાષ્ટ્રના વસંતદાદા પાટીલથી માંડીને વસંતરાવ નાઈક સુધીના કોંગ્રેસ સાથે સંબંધ રાખવાવાળા મુખ્યમંત્રીઓ હોય, બધાએ મુંબઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.” તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે પણ મુંબઈને મૂડીવાદીઓના ગુલામ બનાવવાના પ્રયાસો ચાલુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તરફ ઈશારો કરતા રાઉતે કહ્યું, “ભૂતકાળમાં પણ ઉદ્યોગપતિઓ ગુજરાતના હતા અને હવે પણ તે સમજી શકાય છે કારણ કે શાસન કરવાવાળ લોકો એ જ રાજ્યના છે. આર્થિક, ભૌગોલિક અને સામાજિક રીતે નબળું પાડવા માટે મુંબઈ પર નિરંતર હુમલો થઈ રહ્યો છે. આ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર છે. ‘ તેમણે કહ્યું કે, ‘ઉદ્યોગો અને પ્રોજેક્ટ મુંબઈની બહાર ખસેડવામાં આવી રહ્યા છે.’
રાઉતે કહ્યું, “આનો અર્થ એ છે કે મુંબઈ ભવિષ્યમાં મહારાષ્ટ્રનો ભાગ નહીં રહે અને જો તે રાજ્ય સાથે રહે તો પણ તે ખૂબ જ નબળું થઈ જશે.’ આગળ આ વિશે તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ન સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં કે ન તો સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભૂમિકા ભજવી છે.’




