7 મેના રોજ યોજનારી તલાટીની પરીક્ષામાં 8 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શાળા-કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડુ ઉમેદવારો પાસેથી વસુલીને બસનું સંચાલન કરી શકે છે.
ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી જવા-આવવામાં મુશ્કેલી ન પડે તે માટે હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષાનાં દિવસોમાં શાળા અને કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.06/05/2023 તથા તા.07/05/2023ના રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવતીકાલે તલાટીની પરીક્ષાને લઇ તંત્ર એલર્ટ મોડમાં છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંત અને સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં ગેરરીતિ કર્યા વગર તેમજ કોઈપણ પ્રકારના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.






