આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટએ 12 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ શુક્રવારે રાત્રે આ અંગેની માહિતી આપી છે. નોંધનીય છે કે, GoFirst જે ભારે દેવું ધરાવે છે, તેણે તાજેતરમાં NCLT સાથે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કરી છે, પરંતુ NCLTએ આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કંપની પર હાલમાં રૂ. 6,521 કરોડનું દેવું છે.
GoFirst દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર આ વિશે માહિતી આપવામાં આવી હતી. પેસેન્જરોને સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી કંપની ગો ફર્સ્ટએ કહ્યું કે, ઓપરેશનલ સમસ્યાઓના કારણે કંપનીએ 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. વાડિયા ગ્રુપની કંપનીએ મુસાફરોને ટિકિટ રિફંડ સંબંધિત માહિતી પણ આપી હતી. GoFirstએ કહ્યું કે, અસરગ્રસ્ત મુસાફરોના સંપૂર્ણ પૈસા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે. અગાઉ કંપનીએ 2 અને 3 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી, જેને વધારીને 9 મે કરવામાં આવી હતી. હવે આ સમયગાળો 12 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
ગુરુવારે એવિએશન રેગ્યુલેટર DGCAએ માહિતી આપી હતી કે, એરલાઈને 15 મે સુધી તમામ ફ્લાઈટ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે DGCAએ કંપનીને નિયમો મુજબ જલદીથી તમામ મુસાફરોના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સોમવાર 8 મેના રોજ કંપનીને નાદાર જાહેર કરવા સંબંધિત નિર્ણય અંગે બે નાદારી અરજીઓની સુનાવણી કરશે. પોતાને નાદાર જાહેર કરીને એરલાઈને તમામ નાણાકીય દેવાની ચુકવણી પર વચગાળાનો સ્ટે માંગ્યો છે. આ મામલાની સુનાવણી બાદ NCLTએ ગુરુવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
વર્ષ 2005 માં શરૂ થયેલGoFirst Air એ સસ્તી હવાઈ સેવાઓ પૂરી પાડતી અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તેની નાદારી અરજીમાં કંપનીએ જણાવ્યું છે કે, હાલમાં તે રોકડ અને કેરી મોડમાં ચૂકવણી કર્યા પછી જ ફ્લાઇટ્સ ચલાવવા માટે સક્ષમ છે. આવી સ્થિતિમાં કંપનીએ દરરોજ ચૂકવણી કરવી પડે છે. હાલમાં કંપની પર કુલ રૂ. 6,527 કરોડનું દેવું છે.






