રાજધાની દિલ્હીના જંતર-મંતર પર હાલમાં કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. જોકે આ વિરોધ પ્રદર્શનમાં રેસલર બજરંગ પુનિયા પણ સામેલ છે. આ દરમિયાન બજરંગ પુનિયાએ બજરંગ દળ પર ચાલી રહેલા વિવાદને લઈને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી હતી. જોકે થોડા સમય પછી તેની પોસ્ટ કાઢી નાખી હતી.
રેસલર બજરંગ પુનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિન્દુ સંગઠન બજરંગ દળના સમર્થનમાં એક સ્ટોરી શેર કરી હતી. આમાં તેણે એક ફોટો મૂક્યો હતો જેમાં લખ્યું હતું કે, “હું બજરંગી છું અને બજરંગ દળને સમર્થન આપું છું.” આ ફોટાના કેપ્શનમાં લોકોને તેને વોટ્સએપ સ્ટેટસ અને ડિસ્પ્લે પિક્ચર પર મૂકવાની અપીલ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સના એક વર્ગ દ્વારા તેની પોસ્ટની ભારે ટીકા કરવામાં આવી હતી. આ પછી જ તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી. તેમની પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે.
કુસ્તીબાજોને ખેડૂતોનું સમર્થન
બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત અનેક ટોચના કુસ્તીબાજો બૃજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો પર કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોને ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની સાથે ખાપ પંચાયતના નેતાઓએ ભાજપના સાંસદ બ્રુજભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારને 15 દિવસની સમયમર્યાદા આપી છે. ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતના આગેવાનો કુસ્તીબાજોના ખુલ્લા ટેકામાં આવ્યા છે. પરિણામે કુસ્તોબાજોનો અવાજ અને માંગ બુલંદ બની છે. ખેડૂત સંગઠનના આગેવાનો અને ખાપના આગેવાનો જંતર મંતર મેદાન ખાતે પહોંચ્યા હતા. જ્યા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના બીકેયુ સભ્યોએ લંગર પણ પીરસ્યું હતું.




